દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશનું એવું મંદિર, જ્યાં કોતરાયેલું છે રામાયણ, PM મોદી પહોંચ્યા પ્રમ્બાનન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયામાં છે. જ્યાં તેમણે આજે વિશ્વવિખ્યાત પ્રમ્બાનન હિન્દુ મંદિરની પણ મુલાકાત લીધી. દુનિયાની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં આવેલું આ હિન્દુ મંદિર માત્ર આસ્થાનું જ નહીં, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક સંબંધોનું પણ જીવંત પ્રતીક છે. ઇન્ડોનેશિયામાં લગભગ 87% વસ્તી મુસ્લિમ છે. તેમ છતાં અહીં હજારો વર્ષ જૂની હિન્દુ અને બૌદ્ધ પરંપરાના અનેક ઐતિહાસિક મંદિરો આજે પણ અસ્તિત્વમાં છે. તેમાં પ્રમ્બાનન મંદિર સૌથી પ્રસિદ્ધ છે. વર્ષ 1991માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો.
ઇન્ડોનેશિયામાં હજારો હિન્દુ મંદિરો આવેલા છે. સ્થાનિક ભાષામાં તેમને ‘પુરા’ અથવા ‘ચાંડી’ કહેવામાં આવે છે. સૌથી વધુ મંદિરો બાલી દ્વીપ પર છે, જ્યાં હિન્દુઓની બહુમતીમાં રહે છે. અહીં અંદાજે 20 હજારથી વધુ મંદિરો આવેલા છે. જાવા, લોમ્બોક સહિતના અન્ય ટાપુઓ પર પણ આવા અનેક પ્રાચીન મંદિરો જોવા મળે છે, જેમાંથી કેટલાક એક હજાર વર્ષથી પણ વધુ જૂના હોવાનું માનવામાં આવે છે.પ્રમ્બાનન મંદિર ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર યોગ્યકાર્તા શહેર નજીક આવેલું છે. ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી તેનું અંતર આશરે 500 કિલોમીટર છે. 9મી સદીમાં બનેલું આ મંદિર દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી ભવ્ય હિન્દુ મંદિરોમાંનું એક માનવામાં આવે છે.
ઈતિહાસ મુજબ, 9મી સદીમાં સંજય વંશના રાજા રકાઈ પિકાતને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. બાદમાં અન્ય શાસકોએ પણ તેનો વિસ્તાર કર્યો હતો. તે સમયગાળામાં જાવા વિસ્તારમાં હિન્દુ અને બૌદ્ધ બંને સંસ્કૃતિનો પ્રભાવ હતો. નજીકમાં વિશ્વવિખ્યાત બૌદ્ધ સ્મારક બોરોબુદુરનું પણ નિર્માણ થયું હતું. પ્રમ્બાનન મંદિર મુખ્યત્વે ભગવાન શિવને સમર્પિત છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માના મંદિરો પણ અહીં બનાવવામાં આવ્યા હતા. સદીઓ સુધી આ મંદિર ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું હતું.
કાળક્રમે ઈન્ડોનેશિયામાં રાજકીય પરિવર્તન આવ્યા અને રાજધાની અન્ય વિસ્તારમાં ખસેડાઈ ગઈ. ત્યારબાદ મંદિરનું મહત્વ ઘટવા લાગ્યું. ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓથી મંદિરને ભારે નુકસાન પહોંચ્યું અને તેનો મોટો ભાગ ખંડેરમાં ફેરવાઈ ગયો. 19મી સદીમાં યુરોપિયન સંશોધકોનું ધ્યાન આ મંદિર તરફ ગયું, ત્યારબાદ તેના સંરક્ષણ અને પુનઃનિર્માણનું કામ શરૂ થયું. આજે મંદિરનો મોટો ભાગ ફરીથી ભવ્ય સ્વરૂપમાં ઊભો કરવામાં આવ્યો છે.પ્રમ્બાનન મંદિર તેની ઊંચી શિખર શૈલી અને અદભૂત કોતરણી માટે વિશ્વભરમાં જાણીતું છે. મંદિર પરિસરમાં કુલ 240 જેટલી રચનાઓ હતી, જેમાં મુખ્ય અને નાના મંદિરોનો સમાવેશ થાય છે. મુખ્ય પરિસરમાં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માના ત્રણ મુખ્ય મંદિરો છે. તેમની સામે નંદી, ગરુડ અને હંસને સમર્પિત મંદિરો બનાવવામાં આવ્યા છે. ભગવાન શિવનું મંદિર સૌથી ઊંચું છે, જેની ઊંચાઈ લગભગ 47 મીટર (154 ફૂટ) છે.
મંદિરની દિવાલો પર કોતરાયેલું છે રામાયણ
પ્રમ્બાનન મંદિરની સૌથી વિશેષ ઓળખ તેની પથ્થરની અદભૂત કોતરણી છે. મંદિરની દિવાલો પર ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણ સાથે જોડાયેલી રામાયણની સમગ્ર કથા સુંદર રીતે કોતરવામાં આવી છે. આ શિલ્પકલા જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. મંદિર પરિસરમાં ‘રામાયણ બેલે’ નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે, જેમાં નૃત્ય અને સંગીત દ્વારા રામાયણની કથા જીવંત કરવામાં આવે છે.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ
વર્ષ 1991માં યુનેસ્કોએ પ્રમ્બાનન મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યું હતું. ત્યારથી તેના સંરક્ષણ અને પર્યટનને પ્રોત્સાહન મળ્યું છે. આજે તે ઇન્ડોનેશિયાના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સામેલ છે અને દર વર્ષે લાખો લોકો તેની મુલાકાત લે છે.
ભારત-ઇન્ડોનેશિયાના હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક સંબંધ
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેનો સંબંધ માત્ર આધુનિક રાજદ્વારી સુધી મર્યાદિત નથી. પ્રાચીન સમયમાં વેપાર, સમુદ્રી માર્ગો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન દ્વારા ભારતીય સંસ્કૃતિ ઇન્ડોનેશિયા પહોંચી હતી. તેના પ્રભાવથી ત્યાં હિન્દુ ધર્મ, સંસ્કૃત ભાષા તેમજ રામાયણ અને મહાભારત જેવી પરંપરાઓનો પ્રસાર થયો. આજે પણ ઇન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારત આધારિત નૃત્ય, નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિયમિત યોજાય છે. અનેક સ્થળોના નામ અને સાંસ્કૃતિક પ્રતીકોમાં પણ ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ છાપ જોવા મળે છે.