ટ્રમ્પની ધમકી વચ્ચે રશિયન પ્રેસિડન્ટ પુતિન બનશે ભારતના મહેમાન, આ દિવસે આવશે, ડોભાલની પુષ્ટિ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવવા પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી હવે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગશે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલા પર વડાપ્રધાન મોદીએ પણ નિવેદન આપ્યું છે જો કે હવે મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવશે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ‘રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. મુલાકાતની તારીખો હજુ નક્કી થઈ નથી પરંતુ ઓગસ્ટના અંતમાં તે ભારત આવી શકે છે’. આ મુલાકાત અમેરિકા દ્વારા મોસ્કો સાથેના તેના વેપાર સંબંધો પર ભારત પર ટેરિફ લાદવાની વધતી ધમકીઓ વચ્ચે થઈ છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો મોસ્કો શુક્રવાર સુધીમાં યુક્રેનમાં યુદ્ધ બંધ કરવા સંમત નહીં થાય તો રશિયન તેલ ખરીદદારો પર વધારાના ટેરિફ લગાડવામાં આવશે’.પુતિનની સંભવિત ભારત મુલાકાતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં કડવાશ છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે, જે હેઠળ ભારતથી થતી આયાત પર 25% વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, રશિયાથી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત અંગે ભારત દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. હવે યુએસ ટેરિફનો કુલ દર 50% સુધી પહોંચી ગયો છે, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ જેવી પરિસ્થિતિની સંભાવના છે.
ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ ગુરુવારે મોસ્કોમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના નિવેદનને ટાંકીને આ માહિતી આપી હતી. રશિયાની રાજધાની મોસ્કોમાં યોજાયેલી બેઠક દરમિયાન અજિત ડોભાલે કહ્યું કે અમને ખુશી છે કે રાષ્ટ્રપતિ પુતિન ઓગસ્ટના અંતમાં ભારત આવી રહ્યા છે. અમને આ મુલાકાતથી ઘણા સકારાત્મક પરિણામોની અપેક્ષા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અમેરિકા અને રશિયા સાથે તેના વ્યૂહાત્મક સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.