Ahmedabad plane crash: પિતાના DNA મેચ થયા, પણ માતાના DNA મેચ થવાના બાકી હતા; અંતિમ સંસ્કારને લઈ પરિવાર મુંઝવણમાં હતો અને…

તાજેતરમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મરણ જનારના DNA સેમ્પલ મેચ થતા, પાર્થિવ શરીર પરિવારજનોને સોંપવાની કાર્યવાહી ચાલુ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ, મ્યુનિ. કોર્પો., વહીવટી તંત્ર, સહિતનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.
આ ઘટનામાં ઘણા ફેમિલીના બે અથવા વધારે સભ્યોના મૃત્યુ થયેલા હોય, તેઓના ડીએનએ વારા ફરતી આવતા હોય, સગા સંબંધીઓને અંતિમ વિધિ એક કરતા વધારે વખત કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય, ત્યારે સગાંસંબંધીઓ વિસામણમાં પડી જાય છે. અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ, થલતેજ ખાતે રહેતા મીનાબેન દિલીપભાઈ પટેલ ઉવ. 68 અને દીલીપભાઈ મહેન્દ્રભાઈ પટેલ ઉવ. 69 નું પણ એર ઈન્ડિયાની ફલાઇટમાં સફર કરતા, અકસ્માતમાં મૃત્યું થયું છે. તેમાં પહેલા દિલીપભાઈ મહેન્દ્રભાઈ પટેલના ડીએનએ મેચ થતા, તેમના દીકરા દેવર્ષ પટેલ અને જમાઈ કુશાન સોઢાને પાર્થિવ શરીર સોંપવા જણાવવામાં આવ્યું. પરંતુ,


એક જ કુટુંબમાં બે મરણ થયા હોવાથી, અલગ અલગ વિધિ કરવાની જગ્યાએ બન્નેના પાર્થિવ શરીર સાથે મળે તો, એક સાથે અંતિમ વિધિ થઈ શકે, તે હેતુથી અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી હતી. પરંતુ કોઈ ધ્યાન દેતા નહીં હોવાની રજૂઆત કરતા બંદોબસ્તમાં રહેલા ડીસીપી પ્રદીપસિંહ જાડેજા, એસીપી કૃણાલ દેસાઈ તથા શાહીબાગ પીઆઇ જે.ડી.ઝાલા, તપાસ કરનાર નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.વી. ગોહિલ તેમજ સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી, એફએસએલ ડીએનએ રિપોર્ટ આવતા વાર લાગતી હોય, જે ટેકનિકલ બાબત હોય, જ્યારે ડીએનએ મેચ થઇને આવશે, ત્યારે તરત જ પરિવારજનોને જાણ કરવામાં આવશે અને બંને ડેડબોડીની અંતિમ વિધિ સાથે થાય, એવી વ્યવસ્થા કરવા પ્રયત્નો કરવા સમજાવ્યા હતા.

બીજા દિવસે સવારે ડીએનએ રિપોર્ટ મેચ થઈ આવી જતા પોલીસે પરિવારને જાણ કરી હતી. તેમજ માતા પિતાના પાર્થિવ શરીર એક સાથે મળે તે માટે પોલીસ દ્વારા હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી વ્યવસ્થા કરી આપી હતી. માતા પિતાના પાર્થિવ શરીર અમદાવાદ શહેર પોલીસ તથા વહીવટી તંત્રની સંકલિત કામગીરીના કારણે એક સાથે મળતા, મરણ જનાર મીનાબેન પટેલ તથા દીપીપભાઈ પટેલના પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસની સંવેદનશીલ કામગીરીના ભરપૂર વખાણ કરી, ભાવ વિભોર થયા હતા. અને અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ભાવ વાહી દ્રશ્યો સર્જાયા હતા. અંતિમ વિધિ પત્યા બાદ પણ મીનાબેન અને દીલીપભાઈ પટેલના જમાઈએ ડીસીપી પ્રદીપસિંહ જાડેજાને ટેલિફોન કરીને પોતાના માતાપિતાની અંતિમ વિધિ પૂરી થઈ ગયા હોવાની જાણ કરી અને ફરીથી આભાર વ્યક્ત કર્યો હતો.