Ahmedabad: શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ, PMએ ‘મન કી બાત’માં અમદાવાદની સરાહના કરી

અમદાવાદ મહાનગરે 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સાબરમતી રિવરફ્રન્ટના પરિણામે તથા કાંકરિયા સહિતનાં તળાવોના પુનઃ નિર્માણ દ્વારા જળસંચય- સંગ્રહ તથા ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના તારીખ 27 એપ્રિલના એપિસોડમાં અમદાવાદ મહાનગરની આ નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરી હતી.
વૃક્ષાચ્છાદિત આવરણ વધતા અને જળસંગ્રહ ક્ષમતા માટેના ઉપાયો હાથ ધરાતા અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક શહેર બન્યું છે, એમ પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

અમદાવાદ મહાનગરપાલિકાએ ‘કેચ ધ રેઇન’ અન્વયે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે પરકોલેટિંગ વેલ, ખંભાતી કૂવા તથા જળસંચયના જે કામો જનભાગીદારીથી મોટા પાયે હાથ ધર્યા છે તે પ્રોજેક્ટને રાજ્ય વ્યાપી બનાવવા માટે કેચ ધ રેઇન માટે રૂ.200 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત જળસંચયના ભાગરૂપે રાજ્યના મોટા મહાનગરોના તળાવનું ઈન્ટરલિંકિંગ કરવાનું આયોજન પણ આ શહેરી વિકાસ વર્ષમાં કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધરતી માતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા સાથે આવનારી પેઢીના ભાવિની સુરક્ષા હેતુસર ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા વધુને વધુ વૃક્ષો ‘એક પેડ માં કે નામ’ અભિયાનથી વાવવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. ગુજરાતે આગામી ચોમાસા પહેલા આ અભિયાન રાજ્યભરમાં હાથ ધરીને 50 લાખથી વધુ વૃક્ષો શહેરી વિસ્તારોમાં વાવવાનું નક્કી કર્યું છે.

આ ઉપરાંત શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે રાજ્યના મહાનગરોમાં એક હેક્ટરથી વધુ વિસ્તાર અને 40,000થી વધુ વૃક્ષો વાવી શકાય તે રીતે 100થી વધુ અર્બન ફોરેસ્ટ ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં એક ટકા જમીન અર્બન ફોરેસ્ટ માટે અનામત રાખવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. તેમજ જે નગરપાલિકાઓમાં એક પણ બગીચો ન હતા તેવી 38 નગરપાલિકાઓમાં બગીચાઓના નિર્માણનું આયોજન કર્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ સંદર્ભે આપવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદમાં 2020-21થી 2024-25 વચ્ચે 93 લાખથી અધિક વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 70 લાખ વૃક્ષોનો સમાવેશ થાય છે. મિશન મિલિયન ટ્રીઝ ઝુંબેશ અમદાવાદમાં શરૂ કરીને નાગરિકોની સહભાગિતાથી સઘન વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પાછલાં પાંચ વર્ષમાં 260થી વધુ અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક અમદાવાદમાં ડેવલપ થયાં છે.
આ બધાના પરિણામે 2023 સુધી સરેરાશ વૃક્ષ અસ્તિત્વ દર 6 ટકા હતો તે 2024માં 8.4% થયો છે. ‘એક પેડ મા કે નામ’ જેવા અભિયાનને પરિણામે અમદાવાદનું હાલનું વૃક્ષ આવરણ 60 ચોરસ કિલોમીટર છે જે શહેરના કુલ વિસ્તારના 12.5 ટકા જેટલું થયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના આ સંકલિત પ્રયાસોને પરિણામે વ્યક્તિદીઠ ગ્રીન કવર 2021માં 6.8 ચોરસ કિલોમીટરથી વધીને 2024માં 8.4 થયું છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના 48 વોર્ડમાંથી 41વોર્ડમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં પણ વધારો થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ વર્ષમાં સમગ્ર શહેરમાં 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.