દેશને પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ભેટ: જાણો કેવી રીતે ટ્રેનની અંદર જ બને છે વીજળી

ભારતીય રેલવેના (Indian Railways) ઇતિહાસમાં શુક્રવારે એક નવો સુવર્ણ અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ સ્વદેશી ‘હાઇડ્રોજન-પાવર્ડ’ (Hydrogen-Powered) પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. આ ઐતિહાસિક શરૂઆત સાથે જ ભારત વિશ્વના એવા ગણતરીના દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેઓ પર્યાવરણને અનુકૂળ આવી હાઇડ્રોજન ટ્રેનો ચલાવી રહ્યા છે.

પ્રારંભિક તબક્કામાં આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચેના 89 કિલોમીટર લાંબા રૂટ પર દોડશે. ૧૦ કોચ ધરાવતી આ ટ્રેન ૨ કલાકમાં આ અંતર કાપશે અને રૂટના ૧૨ સ્ટેશનો પર ઊભી રહેશે. રેલવે મંત્રાલયના (Ministry of Railways) જણાવ્યા અનુસાર, ટ્રેનમાં ૧૨૦૦ કિલોવોટ ક્ષમતાની હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ પ્રોપલ્શન સિસ્ટમ (Hydrogen Fuel-Cell Propulsion System) લગાવાઈ છે અને તેની મહત્તમ સ્પીડ (Maximum Speed) કલાકના 75 કિલોમીટરની રહેશે. સામાન્ય રીતે વિશ્વમાં ૨ થી ૪ કોચવાળી હાઇડ્રોજન ટ્રેનો ચાલે છે, પરંતુ ભારતની આ ટ્રેનમાં ૧૦ કોચ છે જેમાં ૨૬૦૦ મુસાફરોની ક્ષમતા છે.

ટ્રેનની અંદર જ કેવી રીતે પેદા થાય છે વીજળી?

આ હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ ટ્રેન મૂળભૂત રીતે એક ઇલેક્ટ્રિક ટ્રેન (Electric Train) જ છે, પરંતુ તે ઓવરહેડ પાવર લાઇન (Overhead Electricity Lines) માંથી વીજળી મેળવવાને બદલે પોતાની વીજળી જાતે જ ટ્રેનની અંદર ઉત્પન્ન કરે છે. ટ્રેનમાં રાખવામાં આવેલા હાઇ-પ્રેશર ટેન્ક (High-Pressure Tanks) માં સંગ્રહિત હાઇડ્રોજન અને હવામાંથી મળતા ઓક્સિજન વચ્ચે ફ્યુઅલ સેલમાં રાસાયણિક પ્રક્રિયા (Chemical Reaction) કરાવવામાં આવે છે. આ પ્રક્રિયાથી જે વીજળી બને છે તેનાથી ટ્રેનની મોટરો ચાલે છે.

પ્રદૂષણ મુક્ત અને શૂન્ય કાર્બન ઉત્સર્જન (Zero Carbon Emission)

આ ટ્રેન ડીઝલ કે કોલસાથી નહીં પણ હાઇડ્રોજનથી ચાલતી હોવાથી તેમાંથી કોઈ પણ હાનિકારક ધુમાડો કે પ્રદૂષણ નીકળતું નથી. બાય-પ્રોડક્ટ (By-product) તરીકે માત્ર વરાળ (Steam) અને ગરમી જ બહાર નીકળે છે, જે પર્યાવરણને ૧૦૦% સુરક્ષિત રાખે છે. આ ટ્રેન માટે ખાસ જીંદ ખાતે હાઇડ્રોજન સ્ટોરેજ (Hydrogen Storage) અને રિફ્યુઅલિંગ સુવિધા (Refueling Facility) ઊભી કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે ભારતના ગ્રીન હાઇડ્રોજન (Green Hydrogen) અને ક્લાયમેટ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ એક મોટું પગલું છે.

ભારતીય રેલવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના અનુભવોનો ઉપયોગ ભવિષ્યમાં પોતાની ઐતિહાસિક ‘હેરિટેજ ટ્રેનો’ (Heritage Trains) જેમ કે કાલકા-શિમલા રૂટને પણ ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજીથી સજ્જ કરવા માટે કરશે. સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ટ્રેનમાં આધુનિક લીક ડિટેક્ટર્સ (Leak Detectors), ફ્લેમ ડિટેક્ટર્સ (Flame Detectors) અને ઓટોમેટિક શટ-ઓફ સિસ્ટમ (Automatic Shut-off System) લગાવવામાં આવી છે, જે કોઈપણ ખામીના સમયે હાઇડ્રોજન સપ્લાય આપમેળે બંધ કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *