અમદાવાદથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ:બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલું ટિશ્યુ પેપર મળ્યું

શુક્રવારે અમદાવાદથી લખનઉ થઈને દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાન હવામાં જ હતું, આ દરમિયાન ટોઇલેટમાં એક ટિશ્યુ પેપર મળ્યું, જેના પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલી હતી. આ પછી પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી અને ઇમરજન્સી લેન્ડિંગની મંજુરી માંગી.
ATCએ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કર્યા, પછી લેન્ડિંગની મંજુરી આપી. આ પછી સવારે 11:15 વાગ્યે ફ્લાઇટ (6E-2111) ને લખનઉ એરપોર્ટ પર ઉતારવામાં આવી. પછી તમામ 180 મુસાફરો અને તેમના સામાનને નીચે ઉતારવામાં આવ્યા હતા.
લગભગ 1 કલાક સુધી વિમાનમાં ચેકિંગ ચાલ્યું. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને અન્ય એજન્સીઓના જવાનોએ વિમાનની તપાસ કરી. ડોગ સ્કવોડે મુસાફરોના એક-એક સામાનનું ચેકિંગ કર્યુ. જોકે, કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલમાં, તમામ મુસાફરોને વિમાનમાં બેસાડી દેવામાં આવ્યા છે. જોકે, વિમાન હજુ દિલ્હી માટે રવાના થયું નથી. આ જ વિમાનથી પૂર્વ IPS બીપી અશોક સહિત ઘણા લોકોને દિલ્હી જવાનું હતું.
ઇન્ડિગોના પ્રવક્તાએ કહ્યું-
ફ્લાઇટની અંદર એક ખતરાની સૂચના મળી. ત્યારબાદ સિક્યોરિટી પ્રોટોકોલ મુજબ વરિષ્ઠ અધિકારીઓને તેની જાણકારી આપવામાં આવી. સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું. વિમાનને જરૂરી તપાસ બાદ દિલ્હી માટે રવાના કરવામાં આવશે.