મહારાષ્ટ્રમાં ઝેરી દારૂ પીવાથી હાહાકાર; પુણે અને પિંપરી-ચિંચવડમાં 13 લોકોના મોત

મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પિંપરી-ચિંચવડના દાપોડી અને ફુગેવાડી વિસ્તારમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે પુણેના કાલે પડલ વિસ્તારમાં 3 અને હડપ્સર વિસ્તારમાં 2 લોકોના મોત થયા છે. આ રીતે કુલ 13 લોકો ઝેરી દારૂનો શિકાર બન્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઝેરી અને સ્પિરિટયુક્ત દારૂ યોગેશ વાનખેડે નામના વ્યક્તિએ તૈયાર કર્યો હતો. આ દારૂ પુણે અને પિંપરી-ચિંચવડના અલગ-અલગ વિસ્તારોમાં વેચવામાં આવ્યો હતો. દાપોડી, ફુગેવાડી, હડપ્સર અને કાલે પડલ વિસ્તારમાં લોકોએ આ દારૂ પીધો હતો. થોડા સમય પછી અચાનક તેમની હાલત બગડી હતી અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું. તેના થોડા સમય બાદ જ તેમના મોત થયા હતા. સારવાર માટે લઈ જવામાં આવે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો.યોગેશ વાનખેડે એક ગેરકાયદેસર દારૂ વેચનાર હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

પોલીસનો અલગ રાગ

ફુગેવાડી વિસ્તારમાં ગેરકાયદેસર હાથભઠ્ઠી અને દેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલતા હોવાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ છે અને ગણગણાટ ચાલી રહ્યો છે કે આ મોત ઝેરી દારૂના કારણે થયા છે. જોકે, દાપોડી પોલીસે આ વાતને અફવા ગણાવી છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે દાવો કર્યો છે કે આ તમામ મોત અલગ-અલગ અને સ્વતંત્ર કારણોસર થયા છે.પોલીસની નજરમાં મોતનું કારણ શું?

પોલીસના જણાવ્યા અનુસાર:

અકબર પઠાન (52): તેઓ છેલ્લા 15 વર્ષથી વધુ પડતો દારૂ પીવાની આદત ધરાવતા હતા.

પાંડુરંગ ફુગે (57): તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે.

વિજય રાઠોડ (31) અને રાજેન્દ્ર રાઠોડ (34): આ બે સગા ભાઈઓના મોત હૃદયરોગના હુમલાથી થયા હોવાની આશંકા છે.

રાજેન્દ્ર રાજપૂત (51): તેમનું મૃત્યુ બાથરૂમમાં ચક્કર ખાઈને પડી જવાને કારણે થયું હતું.

પુણે અને પિંપરી-ચિંચવડ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 8 લોકો પિંપરી-ચિંચવડમાં અને 5 લોકો પુણેમાં મૃત્યુ પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *