દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

આમ આદમી પાર્ટી (AAP) અને તેના નેતાઓની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને AAP ના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે, 18 ઓગસ્ટ 2026 ના રોજ, દિલ્હી જલ બોર્ડ (DJB) ના ટેન્ડર કૌભાંડમાં તેમની અને અન્ય 5 લોકોની સંડોવણી મામલે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
કોની કોની થઈ ધરપકડ?
સત્યેન્દ્ર જૈન ઉપરાંત ACB ની કડક કાર્યવાહીમાં દિલ્હી જલ બોર્ડના પૂર્વ CEO અને IAS અધિકારી ઉદિત પ્રકાશ રાય તેમજ પૂર્વ કોન્ટ્રાક્ટ કન્સલ્ટન્ટ અંકિત શ્રીવાસ્તવ પણ ઝડપાયા છે. આ સાથે જ ખાનગી કંપનીઓના માલિકો પણ સકંજામાં આવ્યા છે, જેમાં મેસર્સ AN એન્ટરપ્રાઇઝના માલિક નાગેન્દ્ર યાદવ, મેસર્સ યુરોટેક એન્વાયર્નમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના રાજા કુમાર કુર્રા અને મેસર્સ સૃજનહરના માલિક પંકજ વર્માનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કૌભાંડ મામલે 11 મે, 2024 ના રોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી.
વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપ છે કે દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ના અપગ્રેડેશન માટે જે ટેન્ડર બહાર પડાયું હતું, તેમાં મોટું ગુનાહિત કાવતરું ઘડાયું હતું. તપાસમાં સામે આવ્યું છે કે ટેન્ડરની શરતોમાં જાણીજોઈને એવા ટેકનિકલ ફેરફારો કરવામાં આવ્યા જેથી માત્ર એક જ કંપની ‘મેસર્સ યુરોટેક એન્વાયર્નમેન્ટ’ ને સીધો ફાયદો મળે અને બાકીની કંપનીઓ હરીફાઈમાંથી બહાર ફેંકાઈ જાય. આ કૌભાંડને અંજામ આપવા માટે કોઈ પાયલોટ પ્રોજેક્ટનો અભ્યાસ નહોતો કરાયો એટલું જ નહીં, ટ્રીટ કરેલા પાણીની ગુણવત્તાના જરૂરી માપદંડો પણ નિયમોમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
ભ્રષ્ટાચારની આ રમતમાં પૈસાની લેવડદેવડના પુરાવા પણ તપાસ એજન્સીને મળ્યા છે. નાણાકીય તપાસમાં ખુલ્યું છે કે કમિશન અને લાંચના પૈસા મેસર્સ સૃજનહર અને AN એન્ટરપ્રાઇઝ મારફતે ફેરવવામાં આવ્યા હતા. યુરોટેક સાથે જોડાયેલી કંપનીઓમાંથી નાગેન્દ્ર યાદવની પેઢીમાં મોટી રકમ ટ્રાન્સફર થઈ હતી. એવો ગંભીર આરોપ છે કે ભ્રષ્ટાચારના આ પૈસામાંથી AN એન્ટરપ્રાઇઝ દ્વારા ભૂતપૂર્વ CEO ઉદિત પ્રકાશ રાય અને તેમના સગા-સંબંધીઓના બેંક ખાતામાં 1.52 કરોડ રૂપિયાની લાંચ જમા કરાવવામાં આવી હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ પૈસાનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
AAP નો પલટવાર: “ભાજપ ડરી ગઈ છે”
આ ધરપકડ બાદ રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે. AAP એ સીધું ભાજપ પર નિશાન સાધ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનુરાગ ઢાંડાએ તીખી પ્રતિક્રિયા આપતા સવાલ ઉઠાવ્યો કે, “ભાજપને એ સાબિત કરવા માટે કેટલા પુરાવાની જરૂર છે કે AAP તેમનાથી નથી ડરતી પણ ભાજપ અમારાથી ડરે છે? જ્યારે જલ બોર્ડનું આ ટેન્ડર બહાર પડ્યું ત્યારે સત્યેન્દ્ર જૈન તો જેલમાં હતા, તો પછી તે જેલમાંથી આ કૌભાંડ માટે કઈ રીતે જવાબદાર હોઈ શકે? સાચું કારણ એ છે કે સત્યેન્દ્ર જૈન પંજાબના સહ-પ્રભારી છે અને ત્યાં ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેથી ભાજપ આ બધું કરી રહી છે.”
હાલમાં 18 ઓગસ્ટ 2026 ના રોજ આ તમામ 6 આરોપીઓની લાંબી પૂછપરછ બાદ ACB એ તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે આ કૌભાંડથી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે. હાલ આ કેસમાં મની ટ્રેલ અને ગુના સાથે જોડાયેલી બેનામી સંપત્તિઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.