મહાકુંભમાં નાસભાગના સ્થળે યોગી પહોંચ્યા: પ્રયાગરાજના રસ્તાઓનું હવાઈ સર્વે પણ કર્યુ

મહાકુંભમાં નાસભાગના ત્રીજા દિવસે સીએમ યોગી પ્રયાગરાજ પહોંચ્યા હતા. સૌથી પહેલા તે સંગમમાં પહોંચ્યા જ્યાં નાસભાગ મચી ગઈ હતી. કુંભ મેળાના અધિકારી વિજય કિરણ આનંદને ઘટનાનું કારણ પૂછ્યું હતું.
યોગી ત્યાં લગભગ 10 મિનિટ રોકાયા હતા. અધિકારીઓને પ્રશ્ન કર્યા હતા. મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યા (28 જાન્યુઆરી)ની મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે સંગમ નોજ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. સરકારના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 30ના મોત થયા છે. જ્યારે 60 લોકો ઘાયલ થયા છે.
શનિવારે મહાકુંભનો 20મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે. ગઈકાલે એટલે કે શુક્રવારે જ્યુડિશિયલ કમિશનની ટીમ મહાકુંભમાં થયેલી નાસભાગની તપાસ માટે પહોંચી હતી. ટીમે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. પ્રયાગરાજ ઝોનના કમિશનર વિજય વિશ્વાસ પંત, ફેર ઓફિસર વિજય કિરણ આનંદ, એડીજી પ્રયાગરાજ ઝોન ભાનુ ભાસ્કર, ડીઆઈજી વૈભવ કૃષ્ણા સહિત અન્ય પોલીસ અધિકારીઓએ તેમાં ભાગ લીધો હતો.