શું અમદાવાદીઓને સુભાષ બ્રિજ હવે ક્યારેય જોવા નહીં મળે? જુઓ એજન્સીનો રિપોર્ટ

મેટ્રોસિટી અમદાવાદમાં સુભાષબ્રિજને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો સુભાષ બ્રિજ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના સૌથી વ્યસ્ત બ્રિજોમાં ગણાતા આ બ્રિજને લઈને તાજેતરમાં થયેલા ટેક્નિકલ રિપોર્ટમાં તેને તોડી પાડવાની ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણય પાછળ મુખ્ય કારણ છે બ્રિજની ઉંમર, જૂની ટેક્નોલોજી અને વધતું ટ્રાફિક ભારણ.

મહત્વનું છે કે, ગત 4 ડિસેમ્બરે સુભાષ બ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાની અને ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને તંત્રએ તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરી દીધો હતો અને તપાસ શરૂ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજની હાલત ચકાસવા માટે વિવિધ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ અને SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસે પણ ટેસ્ટિંગ કરાવ્યું હતું.

તમામ ટેક્નિકલ તપાસ બાદ 23 ડિસેમ્બરે કન્સલ્ટન્ટ એજન્સીઓએ તેમનો રિપોર્ટ AMCને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં બ્રિજ માટે ત્રણ વિકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા.

  • પ્રથમ વિકલ્પમાં સમગ્ર બ્રિજને તોડી પાડવાનો સમાવેશ થાય છે.
  • બીજા વિકલ્પ મુજબ ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે વધારાનો પિલ્લર ઊભો કરીને બ્રિજને મજબૂત બનાવવાનો સૂચન કરવામાં આવ્યું છે.
  • જ્યારે ત્રીજા વિકલ્પમાં બ્રિજનું ઉપરનું સ્ટ્રક્ચર દૂર કરીને સ્ટીલ સ્ટ્રક્ચર બનાવીને તેને ફરી શરૂ કરવાની વાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નાગરિકોની સલામતી અને શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને તંત્રને પહેલો વિકલ્પ સૌથી યોગ્ય લાગ્યો છે. સુભાષ બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુનું થઈ ચૂક્યું છે અને તેની ડિઝાઈન આજના ભારે ટ્રાફિકને અનુરૂપ નથી. આવી સ્થિતિમાં વારંવાર રિપેરિંગ કરતા નવા, આધુનિક બ્રિજનું નિર્માણ વધુ વ્યાવહારિક માનવામાં આવી રહ્યું છે.

જો હાલના બ્રિજને તોડી પાડવાનો અંતિમ નિર્ણય લેવામાં આવે તો તેના સ્થાને વધુ પહોળો અને નવી ટેક્નોલોજીથી સજ્જ નવો સુભાષ બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ હાલના અને ભવિષ્યના ટ્રાફિક ફ્લોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે, જેથી શહેરની અવરજવર વધુ સુગમ બની શકે.

નવો બ્રિજ બનાવવામાં સૌથી મોટો પડકાર સાબરમતી નદીમાં વર્ષભર ભરાયેલા પાણીનો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બાદ નદીમાં સતત પાણી રહેતું હોવાથી બ્રિજનું નિર્માણ ટેક્નિકલ રીતે મુશ્કેલ બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રક્રિયામાં દોઢથી બે વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ તરફ હવે આજે એટલે કે 24 ડિસેમ્બરે આ અંગે સત્તાવાર જાહેરાત થશે કે, બ્રિજ ને તોડી પડાશે કે નહીં ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *