26/11 હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા ભારત આવશે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

મુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. સર્વોચ્ચ અદાલતે તેની દોષિત ઠરાવ સામેની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. ભારત પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું કારણ કે તે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં વોન્ટેડ છે.
ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે રાણાની આ છેલ્લી કાનૂની તક હતી. અગાઉ તે યુએસ કોર્ટ ઓફ અપીલ સહિત અનેક ફેડરલ કોર્ટમાં કાનૂની લડાઈ હારી ચૂક્યો હતો. 13 નવેમ્બરના રોજ, રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટ સમક્ષ “પ્રમાણપત્ર માટે અરજી” દાખલ કરી. ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રમુખ તરીકે શપથ લીધાના એક દિવસ બાદ 21 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજી ફગાવી દેવામાં આવી છે. રાણા હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં છે.