અમદાવાદીઓ માટે ખુશખબર! ભારત-ઇંગ્લેન્ડ વનડે મેચને લઈ મેટ્રો ટ્રેનનો ટાઈમ વધારાયો

તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી આગામી એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRC એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી) મેટ્રો ટ્રેન દર ૮ મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર થી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ ના કોઈ પણ મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.

રાત્રિના ૧૦ વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માં પ્રવેશ કરવા માટે માત્ર પેપર ટિકિટ લેવાની રહેશે કે જે આખા દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી તે દિવસે અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.જાહેર જનતાને નોંધ લેવા નમ્ર વિનંતી છે કે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ જ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR / TOKEN) રાત્રિ ના ૧૦ વાગ્યા પછી લંબાયેલ સમય દરમ્યાન માન્ય રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *