પૂર્વ અમદાવાદમાં આ બ્રિજ જર્જરિત થતાં કરાયો બંધ, તંત્રએ આપ્યું ભારે વાહનો માટે ડાયવર્ઝન

આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 20 લોકોનો ભોગ લેવાયો છે. જે બાદ રાજ્યના તમામ પડું પડું બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના રામોલ ચોકીથી વટવા GIDC તરફનો મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ જર્જરિત હોવાથી આ ભારે વાહનનો માટે ડાયવર્ઝન આપ્યું છે. 

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાં અનુસાર, રામોલ ચોકીથી વટવા GIDC તરફનો મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજનાં બાંધકામને આશરે 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અમદાવાદ દ્વારા નિષ્ણાતો પાસે બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર માટે સલામત નથી, તેથી ભારે તથા મધ્યમ પ્રકારનાં તમામ વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે. 

નોંધનીય છે કે, રામોલ ચોકી ચાર રસ્તાથી મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર આવેલા બ્રિજ તરફ જતા વાહનો તથા GIDC અંબિકા ત્રણ રસ્તા તરફથી આવી મચ્છુનગર થઈ રામોલ ચાર રસ્તા તરફ જતા વાહનોની અવરજવર બંધ કરાઈ છે.

• વટવા GIDCના અંદરના ભાગેથી પસાર થઈને ત્રિકમપુરા ચાર રસ્તા તરફ નિકળી જમણી બાજુ વળી રામોલ ચોકી ચાર રસ્તા થઈને હાથીજણ (લાલ ગેબી સર્કલ) તરફ અવરજવર કરી શકાશે.

•GIDC તરફ આવતાં વાહનો ત્રિકમપુરા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી GIDC વટવા તરફ અવરજવર કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી હતી અને રાજ્યના તમામ બ્રિજની ચકાસણી કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે 97 જોખમી પુલ પર વાહન વ્યવહાર સ્થગિત કરાયો છે. આ ઉપરાંત 39 પુલ તો ગમે તે ઘડીએ ધરાશાયી થાય તેવી અવસ્થામાં છે. ત્યારે અમદાવાદ સહિત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં કુલ મળીન 364 બ્રિજો પૈકી 231 બ્રિજની સ્થિતિ સારી હોવાનો સરકારે દાવો કર્યો છે. અમદાવાદમાં ‌ત્રણ બ્રિજ એવા છે તે પડું પડું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *