Chardham Yatra: ચારધામ યાત્રાના યાત્રિકોની સંખ્યાએ તોડ્યા અગાઉના રેકોર્ડસ, આંકડો 28 લાખને પાર થયો

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પૂરજોશમાં ચાલી રહી છે. માત્ર ૪૨ દિવસમાં ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ યાત્રામાં બાબા કેદારના દર્શન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બીજી તરફ ૩૦ એપ્રિલથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૨૮ લાખ ૩૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે.
વિકટ હવામાનની સમસ્યા અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં કેદારનાથ ધામની યાત્રામાં આસ્થાનો દરિયો છલકાઇ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર પણ યાત્રાળુઓને દરેક સુવિધા પૂરી પાડવા માટે પ્રયાસ કરાઇ રહ્યા છે.કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 10,18,540 ભક્તોએ બાબા કેદારના આશીર્વાદ લીધા છે, જ્યારે 13 જૂનના રોજ એક જ દિવસમાં 24,509 ભક્તોએ ભગવાન કેદારનાથના દર્શન કર્યા હતા.ચાર ધામ યાત્રા યમુનોત્રી ધામથી શરૂ થાય છે. 30 એપ્રિલે ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ, યમુનોત્રી ધામની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં 4,60,335 ભક્તોએ મા યમુનોત્રી ધામની મુલાકાત લીધી છે. 13 જૂને એક જ દિવસમાં 10,840 ભક્તોએ યમુનોત્રી ધામની મુલાકાત લીધી હતી.
ચાર ધામ યાત્રાનો બીજો પડાવ ગંગોત્રી ધામ છે. મોટી સંખ્યામાં ભક્તો ગંગોત્રી ધામ પણ પહોંચી રહ્યા છે. ૩૦ એપ્રિલથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં ૪,૬૩,૩૩૨ ભક્તો ગંગોત્રી ધામ પહોંચ્યા છે. ૧૩ જૂને ૧૧,૯૨૩ ભક્તોએ મા ગંગાના દર્શન કર્યા હતા.
ચાર ધામ યાત્રાનો છેલ્લો પડાવ બદ્રીનાથ ધામની મુલાકાત છે. અત્યાર સુધીમાં 7,90,913 ભક્તોએ બદ્રીનાથ ધામની મુલાકાત લીધી છે, જ્યારે 13 જૂને 19,544 ભક્તોએ ભગવાન બદ્રીવિશાલના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો, http://અમદાવાદ વિમાન દુર્ઘટના તપાસમાં 17 ટીમ જોડાઇ, બોઇંગની ટીમ પણ આવી