ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુઓને ફોસલાવીને ધર્માંતરણ કરાવવામાં આવે છે: નીતિન પટેલ

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો ચગ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ધર્મ પરિવર્તન પર મોટું નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે. હિન્દુઓને ફોસલાવીને ધર્માતરણ કરવામાં આવે છે. આપણી વસતી ઘટતી જાય છે કારણ કે આપણામાં વિભાજન છે. મહેસાણાના કડીના બુડાસણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. આ સભામાં તેમણે ધર્માંતરણ મુદ્દે વાત કરી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ‘આપણને ખબર પડી છે કે છેલ્લા 30 કે 40 વર્ષથી કે આપણે (હિન્દુ) ઘટતા જઈએ છીએ, આપણાંમાં વિભાજન છે. ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. મુસ્લિમ એક અલગ વિષય છે તેને ખ્રિસ્તીઑ સાથે જોડવાની જરૂર નથી. એક આતંકવાદીઓનો પક્ષધર, વિદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે. અને એક ફોસલાવી, હાથ ફેરવી અને પટાવીને ધર્માંતરણ કરાવનારા લોકો છે. બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા, હિન્દુ ધર્મ પર વર્ચસ્વ જમાવવું, આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે.’
વર્ચસ્વ જમાવવા માટે ખ્રિસ્તી મિશનરી બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. નિશાળ કરે, કપડાં આપે, દવાખાનું ખોલે, હોસ્ટેલ ખોલે અને પેલા લોકો હિંસક રીતે એક જ વાત કરીને એમનું કામ કરે છે. બંનેમાં એક આતંકવાદીઓ અને દેશદ્રોહીઓનો પક્ષ છે.’
તો બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પડાલીયાકાંડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અંબાજીમાં જે પ્રશ્ન બન્યો તે ખૂબ જ સેન્સેટીવ પ્રશ્ન છે. પોલીસ કાર્યવાહી કરે અને મામલો શાંત થઈ જાય એવું નથી હોતું. આદિવાસી સમાજમાં ચડોતરુંનો રિવાજ છે. આપણે તેમણે પ્રેમથી સમજાવવા પડશે. આપણે સમાજની રીતે કામ કરવું પડશે.