આગામી 2થી 3 દિવસ ચોમાસું ગુજરાતમાં મન મૂકીને વરસશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

 ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભલે મેઘરાજાની મોડી પધરામણી થઇ પણ ગઇકાલે લગભગ 107 તાલુકામાં મેઘમહેર નોંધાતા ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી. જોકે સૌથી વધુ વરસાદ ગુજરાતના સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ પર મેઘરાજાએ કૃપા વરસાવી હતી.

સુરત અને વલસાડના વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 7.99 ઈંચ, બારડોલીમાં 7.76 ઈંચ, મહુવામાં 7.52 ઈંચ, અંબિકામાં 6.46 ઈંચ, ઉમરપાડામાં 4.72 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના ઉમરગામમાં 7.72 ઈંચ, વાપીમાં 7.44 ઇંચ અને પારડીમાં 4.45 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે બંધે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ભારતના હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વધુ વિસ્તારો તરફ આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે. નર્મદામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના દોરને પગલે હાલમાં ડેમમાં 39315 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી 126.17 મીટરે પહોંચી ગઇ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *