વૈદિક મંત્રોચ્ચારની દિવ્ય ધ્વનિ વચ્ચે Badrinath ધામના દરવાજા ખુલ્યા, હેલિકોપ્ટરથી ભક્તો પર ફૂલોની વર્ષા

આજે સવારે 6 વાગ્યે Badrinath ધામના કપાટ ખુલ્યા. પહેલીવાર મંદિરના નવા રાવલ (પૂજારી) અમરનાથ નંબુદરીએ ગણેશ પૂજા કરી. ત્યારબાદ દ્વાર પૂજા કર્યા બાદ મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા. આ દરમિયાન પુજારી સુરેશ સુયાલે કહ્યું કે કપાટ ખોલ્યા પછી ગર્ભગૃહની સફાઈ કરાશે અને ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવાશે. ત્યારબાદ નવા કપડાં અને આભૂષણોથી શણગારાશે. આ ધાર્મિક વિધિઓ ભગવાનને તેમના શીતકાલીન વિશ્રામ બાદ જગાડવા માટે કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે Badrinath ધામ મંદિરના પરિસરમાં ફોટા અને વીડિયો બનાવવા સામે પ્રતિબંધ છે. જો નિયમ ભંગ કરાશે તો 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ભક્તો આગામી 6 મહિના સુધી ભગવાન બદ્રીવિશાળના દર્શન કરી શકશે. ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવાનો ઈંતજાર હતો. 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરુ થઈ ચૂકી છે. માન્યતા પ્રમાણે જે ચાર ધામના દર્શન કરી લે છે, તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે.
ઉત્તરાખંડના હિમાલયી ગઢવાલ પ્રદેશના બદ્રીનાથ શહેરમાં આવેલા બદ્રીનાથ લગભગ 3100 મીટરની ઉંચાઈએ આવેલું છે. બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા છે કે મંદિરમાં જવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે.