ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાને તગડો ઝટકો, દિગ્ગજ ખેલાડી થોડી મેચ માટે થઈ શકે બહાર

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચની સિરિજમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહયુ છે. ત્યારે આગામી ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાને તગડો ઝટકો લાગી શકે છે. દિગ્ગજ ખેલાડી થોડી મેચ માટે બહાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, બુમરાહ ઈજાગ્રસ્ત હોવાથી અને તેના રિહૈબિલિટેશન માટે એનસીએને રિપોર્ટ કરશે, તેથી અમને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. જ્યાં સુધી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની પસંદગીનો સવાલ છે, તેના વિશે બહુ ખાતરી નથી. તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને પસંદગીકારો આ અંગે અંતિમ નિર્ણય લેશે.
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ચેમ્પિયન બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટુર્નામેન્ટની કેટલીક મેચ રમી શકશે નહીં. તે ગ્રુપ સ્ટેજની મેચોમાંથી બહાર થઈ શકે છે. જસપ્રીત બુમરાહ કમરના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 5મી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે તે મેદાનની બહાર ચાલ્યો ગયો અને ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં બોલિંગ કરવા આવ્યો ન હતો. તેણે કમરના દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમનું સ્કેન કરાવવામાં આવ્યું. તે હાલમાં સ્વસ્થ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં તેના રિહૈબિલિટેશન માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ને રિપોર્ટ કરશે.