Asia Cup 2025: એશિયા કપમાંથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયા: એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે PAKના ગૃહમંત્રી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવની અસર હવે ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપ 2025માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
હાલમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ છે. તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નો અધ્યક્ષ પણ છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, BCCIના એક સૂત્રએ જણાવ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળના સંગઠન દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં રમી શકશે નહીં.
આ દેશની ભાવનાઓનો મામલો છે. અમે ACCને અમારા નિર્ણયની જાણ કરી દીધી છે અને ભારત સરકારના સંપર્કમાં છીએ.
આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં એશિયા કપનું આયોજન થવાનું છે, પરંતુ જો ભારત ખસી જાય તો શક્ય છે કે આખી ટુર્નામેન્ટ રદ થઈ શકે. જો ભારત નહીં રમે તો બ્રોડકાસ્ટર્સ પાછા હટી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ આવતા મહિને શ્રીલંકામાં યોજાનારા ઇમર્જિંગ મહિલા એશિયા કપમાંથી ખસી જવા અંગે મૌખિક રીતે જાણ કરી છે.