‘લાલો’ના કરણ જોષી પર ‘તારક મહેતા’ ફેમ એક્ટ્રેસના ગંભીર આરોપ, હચમચાવતી Insta ચેટ વાયરલ

ગુજરાતી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં હાલમાં એક વિવાદ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલ ગુજરાતી ફિલ્મ “લાલો”ના એક્ટરને લઈ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દેખાયેલી અભિનેત્રી નેહલ વડોલિયાએ ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના અભિનેતા કરણ જોષી પર કથિત રીતે ગંભીર આરોપો લગાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે

અભિનેત્રીએ દાવો કર્યો છે કે, કરણ જોષી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર તેને વાંધાજનક અને અભદ્ર મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેને લઈને હવે સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. મહત્વનું છે કે, આ વિવાદ ત્યારે વધુ ગરમાયો જ્યારે નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે કથિત ઇન્સ્ટાગ્રામ ચેટના સ્ક્રીનશોટ અને પોતાની સાથે થયેલી વાતચીત અંગે ખુલાસો કર્યો હતો. વીડિયોમાં અભિનેત્રીએ જણાવ્યું કે, તેને અત્યંત અયોગ્ય પ્રકારની માગ કરવામાં આવી હતી. નેહલે આ વર્તન સામે વાંધો ઉઠાવતા સામે પક્ષ તરફથી ‘એકાઉન્ટ હેક’ થવાનું કારણ આપવામાં આવ્યું હોવાનો પણ આરોપ મૂક્યો છે.

જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો અને નેટીઝન્સે પણ આ મામલે ભારે પ્રતિક્રિયા આપી હતી. ઘણા લોકોએ આવા વર્તન સામે રોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે કેટલાક લોકોએ સમગ્ર મામલે સત્ય બહાર આવવાની રાહ જોવાની વાત કરી હતી. જોકે થોડા સમય બાદ નેહલે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે અનેક પ્લેટફોર્મ પર ફેલાઈ ચૂક્યો હતો.

નેહલ વડોલિયા ટીવી અને OTT દુનિયાનું જાણીતું નામ છે. તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નાની પરંતુ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તે અનેક વેબ સિરીઝ અને બોલ્ડ પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી ચૂકી છે. બીજી તરફ કરણ જોષી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉભરતો ચહેરો માનવામાં આવે છે અને તાજેતરમાં ફિલ્મ ‘લાલો’ને કારણે ચર્ચામાં રહ્યો હતો.

આ તરફ હવે સોશિયલ મીડિયામાં ચારેકોર ચર્ચા છે કે, બંનેમાંથી સાચું કોણ ? મામલાની ગંભીરતા વચ્ચે હજુ સુધી કોઈ સત્તાવાર તપાસ અથવા સ્પષ્ટ પુરાવા સામે આવ્યા નથી. કરણ જોષી તરફથી અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું અને વાંધાજનક મેસેજ તેણે કર્યા નહોતા. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. હાલ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા અને ચર્ચાસ્પદ પ્રતિક્રિયાઓનો માહોલ યથાવત્ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *