
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, હાલમાં જ જામનગર વનતારાની મુલાકાતે આવ્યા બાદ આ સતત બીજો ગુજરાત પ્રવાસ છે. પીએમ મોદી આવતીકાલે એટલે કે, 7મી માર્ચના રોજ ગુજરાતમાં સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જ્યાં તેઓ રોકાણ કરનારા છે એ રૂમ પર જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. સર્કિટ હાઉસની અંદર તથા બહારના ભાગે રંગરોગાન તથા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. ફૂલછોડના કુંડાઓથી પરિસરને વધુ આકર્ષક અને સુસજ્જ બનાવવામાં આવ્યું છે.
સુરતમાં પીએમ મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભોના વિતરણની શરૂઆત કરવામાં આવશે. ત્યારે પીએમ મોદીની આ મુલાકાતને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે અને સુરક્ષા-વ્યવસ્થા સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.
પીએમ મોદી સુરતનો કાર્યક્રમ –
7 માર્ચ, શુક્રવારે વડાપ્રધાન મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર આવશે
સેલવાસાથી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા હેલીપેડ પહોંચશે
PM મોદી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી ૩ કિમીનો રોડ શો કરશે
નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદી જાહેર સભાને સંબોધશે
અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે
8 માર્ચ શનિવારે સુરત એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે
આ પણ વાંચો, PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી
