સુભાષબ્રિજ હવે આટલા મહિના બંધ રહેશે! સમાચાર સાંભળી અમદાવાદીઓને લાગશે ઝટકો

અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અચાનક જ 4 ડિસેમ્બરના રોજ રિપેરિંગના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય સાંજના પીક અવર્સ દરમિયાન લેવામાં આવતા શહેરમાં વિકટ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. કોઇપણ પૂર્વ સૂચના, એલર્ટ કે જાહેરનામા વિના બ્રિજ બંધ કરી દેવાતા નારણઘાટ, સુભાષબ્રિજ સર્કલ અને આસપાસના સમગ્ર વિસ્તારમા વાહનોની લાઈનો કિલોમીટર સુધી ખેંચાઈ ગઈ હતી. ત્યારે આ બ્રિજ ક્યારે હારી શરૂ થશે તેની શહેરીજનો રાહ જોઈને બેઠા છે તેમને થોડો સમય આ માટે રાહ જોવી પડી શકે તેમ છે.

AMCની ટીમને સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળતા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બ્રિજના બંને બાજુનો ભાગ મધ્ય વિભાગમાંથી બેસી ગયો છે. એક સ્પાનનો ભાગ નીચે સરકી ગયો હોય એવી સ્થિતિ દેખાઈ રહી છે. આ સ્થિતિ ગંભીર હોઈ શકે એટલેથી જ સાંજે લગભગ છ વાગ્યે બ્રિજ સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે આ બ્રિજન ઇન્સ્પેક્શનની કામગીરી બરોડાના ડૉ.રવિ કિરણની એજન્સીને આપવામાં આવી છે. આ એજન્સીએ બોટ મારફતે બ્રિજના સ્પાનનો તપાસ કરીને સેમ્પલ ભેગા કર્યા છે.

અમદાવાદ શહેરના સુભાષબ્રિજ અંગે ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે. બ્રિજની શક્ય ખામી અને રિપેરિંગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખાનગી એજન્સીના અધિકારીઓ આજે સ્થળ પર પહોંચ્યા. તેઓએ બોટ મારફતે બ્રિજના નીચેના સ્ટ્રક્ચર અને સ્પાનની તપાસ કરી. અનેક સ્થળોથી સ્પાનના સેમ્પલ લેવામાં આવ્યા, જેથી ચોક્કસ સ્થિતિ જાણી શકાય. બ્રિજનું ચોક્કસ મૂલ્યાંકન મળી રહે તે માટે હાલનું ડીટેલ ઇન્સ્પેક્શન હજુ ચાલુ છે, અને આ પ્રક્રિયા આજે પૂર્ણ થવાની શક્યતા નથી.એજન્સીનું કહેવું છે કે સ્ટ્રક્ચરલ મજબૂતી, ભેજની અસર, અને વર્ષોનું વેયર એન્ડ ટિયર જેવા મુદ્દાઓની વિશેષ તપાસ થઈ રહી છે. પ્રાથમિક અહેવાલો મળ્યા હોવા છતાં નિષ્ણાતો સ્પષ્ટ કહી રહ્યા છે કે બ્રિજનો અંતિમ રિપોર્ટ આજે જાહેર કરવો શક્ય નહીં બને. વિગતોની ગંભીરતા જોતા તપાસ ધીમે અને સાવધાનીપૂર્વક આગળ વધારવામાં આવી રહી છે. એજન્સીની વધુમાં આ અંગે કહેવું છે કે બ્રિજના રિપેરિંગને બેથી ત્રણ મહિના લાગી શકે છે.

સુભાષબ્રિજની સલામતી અંગે મોટો નિર્ણય લેવા પહેલાં બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ IIT મુંબઇ અને SVNIT પણ પોતાનો અભિપ્રાય આપી રહી છે. બંને સંસ્થાના નિષ્ણાત અધિકારીઓએ સ્થળ પર આવીને બ્રિજનું નિરીક્ષણ કર્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ બ્રિજની મરમતને 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ ચોક્કસ સમયગાળો અને પદ્ધતિ બંને એજન્સીઓના વિગતવાર રિપોર્ટ બાદ જ નક્કી થશે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા પર તેની સીધી અસર પડતી હોવાથી નાગરિકો પણ અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *