પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ

મૌની અમાવસ્યા પહેલા પ્રયાગરાજના મહાકુંભમાં દુ:ખદ ઘટના સર્જાઈ છે. પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી સાથે વાત કરી હતી. અખાડા પરિષદે ખાસ સાવચેતી રાખીને અમૃત સ્નાન રદ કર્યું છે.
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરી કહે છે કે, બનેલી ઘટનાથી અમે દુઃખી છીએ. અમારી સાથે હજારો ભક્તો હતા, તેથી જાહેર હિતમાં, અમે નિર્ણય લીધો કે અખાડાઓ અમૃત સ્નાનમાં ભાગ લેશે નહીં.
આજે હું લોકોને અપીલ કરું છું કે તેઓ આજના બદલે વસંત પંચમી પર સ્નાન કરવા આવે. ઉપરાંત, આ ઘટના એટલા માટે બની કારણ કે ભક્તો સંગમ ઘાટ પર જવા માંગતા હતા, તેના બદલે તેઓએ પવિત્ર ગંગા જ્યાં પણ દેખાય ત્યાં તેમાં ડૂબકી લગાવવી જોઈએ. આ વહીવટીતંત્રની ભૂલ નથી, કરોડો લોકોને સંભાળવું સરળ નથી. આપણે સરકાર અને અધિકારીઓને સહકાર આપવો જોઈએ.
પીએમ મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી છે. એક કલાકમાં આ બીજી વાર UPના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તો બીજી તરફ પીએમ મોદી તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.