રાહુલને આર્મી ચીફની સલાહ:કહ્યું- સેનાને રાજકારણમાં ન ખેંચો

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે, સેનાને રાજકારણમાં ન ખેંચવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આર્મી ચીફે કહ્યું છે કે ચીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. જોકે, રાહુલના નિવેદનને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રદિયો આપ્યો હતો. સમાચાર એજન્સી ANIના પોડકાસ્ટમાં રાહુલના આ જ નિવેદન પર સેના પ્રમુખને સવાલ કરવામાં આવ્યો હતો.
દ્વિવેદીએ કહ્યું- મને લાગે છે કે રાજકીય જવાબ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવ્યો છે અને સંરક્ષણ મંત્રાલયે તેની વિગતો આપી છે, પરંતુ એ મહત્વનું છે કે હું એ વાતનો પ્રયાસ કરું અને જાળવી રાખું કે સૈન્ય રાજકારણમાં સામેલ ન થાય.
તેમણે કહ્યું કે સમય જતાં આપણે પ્રગતિ કરી છે અને ચીન પણ પ્રગતિ કરી છે. જ્યારે તમારી પાસે વધુ સૈનિકો હોય, ત્યારે તમારે તેમના માટે નિવાસસ્થાન ફાળવવા પડે છે. તેમને પરિવહનની જરૂર છે, રસ્તાઓ અને પાટા જરૂરી છે.
એવું નથી કે આપણે કોઈ વિવાદિત વિસ્તારમાં પ્રવેશ કર્યો છે. આપણે જ્યાં પણ હોઈએ ત્યાં આપણી જાતને અડગ અને આરામદાયક બનાવી છે. જો આ બધું આવું જ રહેશે, તો આ વિસ્તાર ખંડેર થઈ જશે, કારણ કે તમારે રસ્તા બનાવવા પડશે, નિવાસસ્થાનો બનાવવા પડશે. આ બંને પક્ષો દ્વારા કરવામાં આવ્યું છે.