ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નહીં યોજાય, ભાજપના 4 નેતાઓને સત્તાવાર બિનહરીફ વિજેતા જાહેર કરાયા

ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાતની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા સત્તાવાર રીતે બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે. જેથી હવે 18 જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી ગુજરાતમાં નહીં યોજાય. મહત્વનું છે કે હાલ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 જેટલું છે અને કોંગ્રેસનું 12 તેમજ AAPનું 5 જેટલું જ સંખ્યાબળ હોવાથી એક પણ વિપક્ષી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો નથી. જેથી ચૂંટણી પંચે ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારોને બિન હરીફ જાહેર કર્યા છે.
કોણ છે રાજ્યસભાના બિન હરીફ ચારેય ઉમેદવારો?
મુકેશ રાઠવા: આદિવાસી સમાજ, છોટાઉદેપુર જિલ્લા કવાંટના રહેવાસી છે, ભાજપ મહામંત્રી, ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.
જીતેન્દ્ર કણઝારીયા: સતવારા સમાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ (BJP)ના અગ્રણી નેતા અને કાર્યકર છે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021માં કોરોનાના કારણે પિતા મેઘજીભાઈ કણઝારિયાનું નિધન થયું હતું
માનસિંહ પરમાર: રાજપૂત સમાજ, હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
રાજુ શુક્લા: બ્રાહ્મણ સમાજ, કડી-કલોલ ભાજપના કાર્યકર અને હાલ સુરેન્દ્રનગર પ્રભારી