Rahul Gandhi આવતીકાલે ગુજરાતની મુલાકાતે, જૂનાગઢથી કોંગ્રેસ 2027ની ચૂંટણીની તૈયારીઓ કરશે

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે (12 સપ્ટેમ્બર) ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ બપોરે 1 વાગ્યે કેશોદ એરપોર્ટ પર ઉતરીને સીધા જૂનાગઢ જશે. જ્યાં તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના તાલીમ કેમ્પમાં હાજરી આપશે અને આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.
જૂનાગઢમાં આયોજિત આ પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને નેતાગીરીના પાઠ શીખવશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો અને કાર્યકરોમાં નવો જોમ ભરવાનો છે. અગાઉ પણ રાહુલ ગાંધી આવા જ પ્રશિક્ષણ શિબિરોમાં હાજરી આપી ચૂક્યા છે, જેમાં તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધીની આ મુલાકાતને ગુજરાત કોંગ્રેસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાતથી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધશે અને આગામી ચૂંટણીઓ માટેની તૈયારીઓને વેગ મળશે તેવી આશા છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજી પ્રશિક્ષણ શિબિર છે. જેમાં પહેલી પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચો, Ahmedabad: SP રિંગ રોડ ઉપર ગંભીર અકસ્માત, નિકોલ પાસે બેફામ કારે એક્ટિવાને અડફેટે લીધી, બન્ને ચાલક ઈજાગ્રસ્ત