‘દિલ્હીના વિકાસમાં કોઇ કસર નહીં છોડીએ, આ મારી ગેરંટી છે’; ભાજપની જીત પર PM મોદી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બહુમત મેળવ્યો છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપનો ભગવો લહેરાયો છે. દિલ્હીમાં ભાજપની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
વડાપ્રધાન મોદીએ લખ્યું, ‘જનશક્તિ સર્વોચ્ચ છે!’ વિકાસ જીત્યો, સુશાસન જીત્યું. ભાજપને ઐતિહાસિક વિજય અપાવવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા સલામ અને અભિનંદન! તમે મને આપેલા પુષ્કળ આશીર્વાદ અને પ્રેમ માટે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. દિલ્હીના સર્વાંગી વિકાસ અને તેના લોકોના જીવનને સુધારવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં; આ અમારી ગેરંટી છે. આ સાથે, અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે દિલ્હી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે.’
દિલ્હી ભાજપના કાર્યકરોને અભિનંદન આપતા PM મોદીએ લખ્યું, ‘મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે જેમણે આ વિશાળ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે અમારા દિલ્હીવાસીઓની સેવા કરવા માટે વધુ મજબૂત રીતે સમર્પિત રહીશું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને જુઠ્ઠાણા શાસનનો અંત અને વિકાસ અને વિશ્વાસના નવા યુગની શરૂઆત ગણાવી હતી અને કહ્યું કે દિલ્હીના મતદારોએ વચન તોડનારાઓને પાઠ ભણાવ્યો છે જે ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે.