PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ 6,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સ અને રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી જૈન વારસાના સંરક્ષણ, અદ્યતન ટેકનોલોજી (સેમિકન્ડક્ટર) અને માળખાગત વિકાસ પર ભાર મૂકશે.
પીએમ મોદીના પ્રવાસની શરૂઆત ગાંધીનગર જિલ્લાના કોબા ગામથી શરૂ થશે. ત્યાં તેઓ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં નવા બનેલા “સમ્રાટ સંપ્રતિ મ્યૂઝિયમ”નું ઉદ્ઘાટન કરશે. આ મ્યૂઝિયમનું નામ સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ (224-215 ઈસ.પૂર્વ)ના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેમણે જૈન ધર્મ અને અહિંસાના સિદ્ધાંતનો પ્રચાર કર્યો હતો. “સમ્રાટ સંપ્રતિ મ્યૂઝિયમ” માં દુર્લભ કલાકૃતિઓ અને પ્રાચીન હસ્તપ્રતો પ્રદર્શિત કરતી સાત ગેલેરીઓ છે. તેમાં સદીઓ જૂની જૈન કલા, પથ્થર અને ધાતુની શિલ્પો અને ઐતિહાસિક સિક્કાઓ પણ છે.
કોબા પછી વડાપ્રધાન સાણંદ જશે, જ્યાં તેઓ કાયન્સ સેમિકોનની આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. 3,300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશનમાં એક સીમાચિહ્નરૂપ બનશે. આ OSAT સુવિધા દરરોજ આશરે 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરશે. આનાથી વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન હબ તરીકે ગુજરાતની સ્થિતિ વધુ મજબૂત થશે.
PM મોદી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના લખણી તાલુકાની મુલાકાત લેશે. અહીં, તેઓ એક જાહેર સભાને સંબોધિત કરશે અને 6,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં હિંમતનગર-ખેડબ્રહ્મા નવી રેલવે લાઇનનો સમાવેશ થાય છે. ₹482 કરોડના ખર્ચે બનેલી આ 55 કિમી લાંબી લાઇન અમદાવાદ અને ઉદયપુર સાથે સાબરકાંઠાની કનેક્ટિવિટીમાં સુધારો કરશે.
PM મોદી ખેડબ્રહ્મા અને અમદાવાદ વચ્ચે નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપશે. તેઓ કનાલુસ-જામનગર સેક્શનના ડબલિંગ અને ગાંધીધામ અને આદિપુર વચ્ચેના મલ્ટીટ્રેકિંગ કાર્યનું પણ ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી ગુજરાતમાં 5,295 કરોડના 44 શહેરી વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. અમદાવાદ (₹4,640 કરોડ) સૌથી મોટો હિસ્સો ધરાવશે. આ પ્રોજેક્ટ્સમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ માળખાગત સુવિધાઓ, ડ્રેનેજ સિસ્ટમ્સ અને આવાસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વડનગરમાં “હેરિટેજ ટાઉન અને રોડ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ”નું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ઐતિહાસિક શહેરના વારસાને જાળવવા અને પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. પાટણમાં એક રેલ્વે ઓવરબ્રિજનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જે આશરે 200,000 રહેવાસીઓને ટ્રાફિક જામમાંથી રાહત આપશે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ