PM Modi ઓચિંતા આદમપુર એરબેઝ પહોંચ્યા, વાયુસેનાના જવાનો સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં તેઓ વાયુસેનાના જવાનો સાથે મુલાકાત કરી છે. ઓપરેશન સિંદૂરમાં વાયુ સેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ ઉપર એરસ્ટ્રાઈક કરી હતી. 9 જેટલા આતંકી ઠેકાણા ઉપર હુમલા કરી 100થી વધુ આંતકીઓનો ખાત્મો બોલાવ્યો હતો.

બે દિવસ અગાઉ યુદ્ધ વિરામની જાહેરાત બાદ પીએમ મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. સેનાના જવાનોને સલામ કરી હતી. આજે તેઓ પંજાબ સ્થિત આદમપુર એરબેઝ પહોંચી જઈને સેનાના જવાનોને રૂબરૂમાં અભિનંદન પાઠવ્યા હતા.પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પર્યટકો પર અંધાધૂધ ગોળીબાર કરી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં 26 નિર્દોષની તેમના જ પરિવારની સામે હત્યા કરી હતી.

આ ઘટનાથી ભારત સહિત વિશ્વમાં ખળભળાટ મચ્યો હતો. આતંકવાદને વર્ષોથી પોષનારૂ અને સમર્થક પાકિસ્તાનની ભારે ટીકાઓ થઈ હતી. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ આ હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણા નષ્ટ કર્યા હતાં. જેમાં 100 જેટલા આતંકવાદીઓનો સફાયો થયો હતો.
આ પણ વાંચો, આ હતા પહેલગામમાં હુમલો કરનારા આતંકીઓ, પોસ્ટર બહાર પડ્યું, 20 લાખના ઈનામનું એલાન