પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક:PAKએ કહ્યું- TTPના સાત કેમ્પને ટાર્ગેટ કર્યા, આત્મઘાતી હુમલાનો બદલો લીધો

પાકિસ્તાની સેનાએ રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. અલ-જઝીરા અનુસાર, સેનાએ દાવો કર્યો કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા સાત કેમ્પ અને ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા.
પાકિસ્તાન સરકારે તેને તાજેતરના આત્મઘાતી હુમલાઓ પછીનો વળતો હુમલો ગણાવ્યો. સૂચના અને પ્રસારણ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું કે આ ઇન્ટેલિજન્સ આધારિત ઓપરેશન હતું. પાકિસ્તાને કહ્યું કે તેની પાસે પાકા પુરાવા છે કે હુમલા અફઘાનિસ્તાનની જમીન પરથી સંચાલિત નેટવર્ક દ્વારા કરવામાં આવ્યા હતા.
અફઘાન મીડિયા ટોલો ન્યૂઝ અનુસાર, હુમલામાં નાંગરહારના એક ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે એક જ પરિવારના 23 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અત્યાર સુધીમાં માત્ર ચાર લોકોને બહાર કાઢી શકાયા છે. હુમલા સમયે પરિવાર સૂતો હતો તેથી તેમને ભાગવાનો મોકો મળ્યો ન હતો.
અમેરિકી માનવાધિકાર સંગઠન ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન (IHRF) અનુસાર, આમાં 16 લોકોના મોત થયા છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. જોકે, આંકડાઓની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.