માત્ર પેટ્રોલ-ડીઝલ નહીં, સાથે-સાથે આ ચીજવસ્તુઓ પણ થઇ જશે મોંઘી!

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઈરાન યુદ્ધની અસર હવે વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે. ભારત પણ આ અસરથી બચી શક્યું નથી, કારણ કે દેશ પોતાની જરૂરિયાતનું લગભગ 90 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે. છેલ્લા થોડા દિવસોમાં સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વખત વધારો કર્યો છે. નિષ્ણાતોના મતે, આ ભાવવધારો હવે સામાન્ય લોકોના ઘરખર્ચ પર સીધી અસર કરશે અને આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે.

ભારતમાં હાલમાં છૂટક બજાર સામાન્ય દેખાતું હોવા છતાં મોંઘવારી તો વધી રહી છે. એપ્રિલ 2026માં સૌથી વઘારે ભાવ સૂચકાંક એટલે કે WPI 8.3 ટકા સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા 42 મહિનાનો સૌથી ઊંચો આંકડો ગણાય છે. બીજી તરફ ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPI માર્ચના 3.40 ટકાથી વધીને 3.48 ટકા થયો છે. સૌથી મોટો વધારો ઇંધણ અને વીજળી વિભાગમાં નોંધાયો છે, જ્યાં મોંઘવારી 1.05 ટકાથી સીધી 24.71 ટકા સુધી પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં 88 ટકા સુધીનો ઉછાળો આવતા તેની અસર હવે તમામ ક્ષેત્રોમાં દેખાવા લાગી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ ₹4 પ્રતિ લિટર જેટલો વધારો થવાથી છૂટક મોંઘવારીમાં પણ વધારો થશે. પરિવહન ખર્ચ વધતા શાકભાજી, દૂધ, અનાજ, પેકેજ્ડ વસ્તુઓ અને રોજિંદી જરૂરિયાતની ઘણી વસ્તુઓ મોંઘી બની શકે છે. ખાસ કરીને ડીઝલના ભાવ વધારાની અસર સૌથી વધુ જોવા મળશે, કારણ કે ભારતમાં લગભગ 40 ટકા પરિવહન અને કૃષિ ક્ષેત્ર ડીઝલ પર આધારિત છે. ટ્રક, બસ, કૃષિ પંપ, જનરેટર અને અનેક ફેક્ટરીઓ ડીઝલથી ચાલતી હોવાથી તેની કિંમત વધતા તમામ ઉત્પાદનોના ખર્ચમાં વધારો થાય છે.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધશે તો મે મહિનામાં મોંઘવારી 9 ટકા સુધી પહોંચી શકે છે. જૂન અને જુલાઈ દરમિયાન તેની વધુ સ્પષ્ટ અસર જોવા મળી શકે છે. કારણ કે વધેલા ઇંધણના ભાવ ધીમે ધીમે ઉત્પાદન, પરિવહન અને બજારના ખર્ચમાં ઉમેરાય છે. પરિણામે સામાન્ય લોકોના ઘરખર્ચ પર વધારાનો બોજ પડશે. ખાસ કરીને મધ્યમવર્ગ અને ખેડૂતો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *