
આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્ર ટૂંકું હોવા છતાં, તે રાજ્ય માટે અત્યંત મહત્ત્વનું છે. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ત્રણ દિવસમાં ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને વિચારણા કરવામાં આવશે.
સત્રના ત્રણેય દિવસ પ્રશ્નોતરીનો સમય રાખવામાં આવ્યો છે, જેથી ધારાસભ્યો જનતાના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરી શકે. જેમાં પાંચ વિધેયકો પસાર થશે. આ ત્રણ દિવસના સત્ર દરમિયાન પાંચ વિધેયકો પણ ગૃહમાં રજૂ થવાના છે.
શોક દર્શક ઉલ્લેખ:
આજે પ્રશ્નોતરી બાદ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી સહિત ગૃહના પૂર્વ સભ્યો અને મંત્રીઓના અવસાન અંગે શોક ઠરાવ રજૂ થશે. આ ઠરાવ બાદ ગૃહની આજની કામગીરી મોકૂફ રાખવામાં આવશે.
આ 3 દિવસીય ચોમાસુ સત્રમાં કુલ 5 મહત્વપૂર્ણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. આ વિધેયકોનો હેતુ વર્તમાન કાયદાઓમાં સુધારા કરીને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ લાવવાનો છે. રજૂ થનારા આ 5 બિલો નીચે મુજબ છે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, 2025’, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક, 2025’, ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025 અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો, ગુજરાતના વધુ એક શહેરમાં હેલમેટ ફરજિયાત! બાઇક પર પતિ-પત્ની સાથે બાળકે પણ પહેરવું પડશે
