અમદાવાદ એરપોર્ટ પર મોટી બેદરકારી ! બે વિમાન સામસામે આવતા ટળી દુર્ઘટના

અમદાવાદ એરપોર્ટ પર એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં બે મુસાફર વિમાનો એક જ ટેક્સીવે પર સામસામે આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાન સામેલ હતા. સદનસીબે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સતર્કતા અને સમયસર લેવામાં આવેલા નિર્ણયને કારણે બંને વિમાનોને તરત જ રોકી દેવામાં આવ્યા હતા, જેના કારણે સંભવિત મોટો અકસ્માત ટાળી શકાયો હતો.
મળતી માહિતી અનુસાર ઘટના દરમિયાન એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાન એક જ ટેક્સીવે પર એકબીજા સામે આવી ગયા હતા. બંને વિમાનો વચ્ચે અંદાજે 200 મીટર જેટલું અંતર જ બાકી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો સમયસર કાર્યવાહી ન કરવામાં આવી હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. જોકે ATC દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી અને જોખમની સ્થિતિ સર્જાતાં જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એર ઇન્ડિયાના વિમાને ટેક્સીંગ દરમિયાન ભૂલથી ખોટી દિશામાં વળાંક લીધો હતો. જેના કારણે તે વિમાન એવા માર્ગ પર પહોંચી ગયું જ્યાં સામેની દિશામાં ઇન્ડિગોનું વિમાન આગળ વધી રહ્યું હતું. બંને વિમાનો એકબીજાની નજીક આવી જતા એરપોર્ટ ઓપરેશન વિભાગ અને ATC તંત્ર તાત્કાલિક સક્રિય બન્યા હતા.
ATC દ્વારા તરત જ બંને પાયલોટ્સ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો અને સુરક્ષા પ્રોટોકોલ મુજબ બંને વિમાનોને રોકવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. પાયલોટ્સે પણ સૂચનાઓનું પાલન કરીને વિમાનોને સુરક્ષિત રીતે રોકી દીધા હતા. જેના કારણે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા જાળવી શકાયી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ સામે આવ્યા નથી.
ઘટના બાદ એરપોર્ટ સત્તાવાળાઓએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. ટેક્સીવે પર આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ અને તેમાં કઈ પ્રકારની ભૂલ થઈ તે જાણવા માટે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. એર ઇન્ડિયાના વિમાન દ્વારા ખોટી દિશામાં લેવામાં આવેલા વળાંક અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સંબંધિત અધિકારીઓ ફ્લાઇટ રેકોર્ડ, ATC કમ્યુનિકેશન અને અન્ય ટેકનિકલ વિગતોની સમીક્ષા કરી રહ્યા છે.