જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ

 જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ઉધમપુરના રામનગરના કાગોત વિસ્તારમાં એક મુસાફર બસ પલટી ગઈ છે અને આ દર્દનાક અકસ્માતમાં 15 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલુ છે, જેમાં પોલીસ, પ્રશાસન અને સ્થાનિક લોકો મદદ કરી રહ્યા છે. બીજી તરફ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી, ત્યારે જાલો વિસ્તાર પાસે અચાનક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણોની હાલમાં ખબર પડી શકી નથી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ અકસ્માત બેદરકારીભર્યા ડ્રાઈવિંગને કારણે થયો હતો. એક વળાંક પર બસનું ટાયર ફાટ્યું હતું, જેના પછી પૂરઝડપે આવી રહેલી બસ બેકાબૂ બની ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બચાવ ટુકડી દ્વારા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો અને તબીબી કેન્દ્રોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને જણાવ્યું કે ઘાયલોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને શક્ય તમામ તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કર્યું

આ દર્દનાક અકસ્માત પર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમણે રામનગરથી ઉધમપુર જઈ રહેલી મુસાફર બસ સાથે થયેલા દુઃખદ માર્ગ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. મુખ્યમંત્રીએ ખાતરી આપી કે સરકાર દુઃખની આ ઘડીમાં પીડિતો અને તેમના પરિવારો સાથે મક્કમતાથી ઉભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *