ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી નીકળેલા કેજરીવાલ આજે દેશના સૌથી ઈમાનદાર નેતા સાબિત થયા : Isudan Gadhvi

Isudan Gadhvi

અગાઉ ED દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે ન્યાયાલય દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે માનનીય અરવિંદ કેજરીવાલજીનો ઉદય કોઈ રાજકીય વંશમાંથી નહીં પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી થયો છે. જ્યારે સમગ્ર દેશમાં લૂટ અને ભ્રષ્ટાચાર વ્યાપક હતો, ત્યારે અરવિંદ કેજરીવાલજીએ ઈમાનદાર રાજનીતિનો માર્ગ પસંદ કર્યો અને સાબિત કર્યું કે ઈમાનદારીથી પણ રાજકારણ શક્ય છે. દિલ્હીમાં પ્રથમ વખત સત્તા મળ્યા બાદ માત્ર 49 દિવસની સરકારમાં તેમણે એવું કાર્ય કર્યું કે છ મહિના પછી યોજાયેલી ચૂંટણીમાં દિલ્હીની જનતાએ 70માંથી 67 બેઠકો આપી ઈમાનદાર રાજનીતિનું ઉદાહરણ આપ્યું. અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારીના કારણે જ દિલ્હી ખાતે મફત વીજળી, મફત પાણી, ઉત્તમ શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ શક્ય બની.

આમ આદમી પાર્ટીનો સ્વીકાર દેશભરમાં જામ્મુ-કાશ્મીરથી લઈને કેરળ, પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાત અને પંજાબ સુધી થયો. જ્યારે ભાજપને લાગ્યું કે ઈમાનદાર રાજનીતિ જનતાને આકર્ષી રહી છે, ત્યારે અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી પર ડાઘ લગાવવા માટે ED ને રાજકીય હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી. ખોટા કેસો કરી, મીડિયામાં ટ્રાયલ ચલાવી, કેજરીવાલજીને હેરાન પરેશાન કરવામાં આવ્યા. પરંતુ ગઇકાલે ન્યાયાલયના ચુકાદાએ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો છે. ન્યાયાલયે સ્પષ્ટ કર્યું છે કે અરવિંદ કેજરીવાલજી નિર્દોષ છે અને EDને ફટકાર પણ લગાવી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કડક ટિપ્પણી કરી હતી. ન્યાયાલયના આ ચુકાદાથી આજે સાબિત થઈ ગયું છે કે અરવિંદ કેજરીવાલજી ભારતના સૌથી ઈમાનદાર નેતાઓમાંના એક હતા, છે અને રહેશે. તેમણે ન્યાયપાલિકાનો આભાર માનતા કહ્યું કે જો ન્યાય ન મળ્યો હોત તો આજે પણ ઈમાનદાર વ્યક્તિના ચરિત્ર પર ખોટા દાગ લગાવવાની કોશિશ ચાલુ રહેત.

આ સાથે જ ઇસુદાન ગઢવીએ ગુજરાતની કાયદો-વ્યવસ્થાને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્કૂલ, હોસ્પિટલ, મોલ અને હાઇકોર્ટ સુધી બોમ્બની ધમકીઓ ભર્યા ઇ-મેઇલ મળી રહ્યા છે. છતાં આજદિન સુધી કોઈ આરોપી પકડાતો નથી. વાલીઓ ડર સાથે પોતાના બાળકોને સ્કૂલે મોકલે છે. આજે દરેક પરિવાર ચિંતિત છે.

તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઇ છે. જ્યાં એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓને પકડી પકડીને જેલમાં ધકેલવામાં આવે છે, ત્યાં બીજી તરફ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપનારાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. ખેડુતોનો અવાજ ઉઠાવનારને જેલમાં નાખવામાં આવે છે, પરંતુ ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આજની સ્થિતિએ ગુજરાતમાં જનતા પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે. બાળકો, મહિલાઓ અને પરિવાર સૌ ડરમાં જીવી રહ્યા છે. અગાઉ એક સ્કૂલમાં નવમા ધોરણના બાળકે તેની જ સાથે ભણતા બાળકની છરીથી હત્યા કરી હતી. વાલીઓ પ્રાઈવેટ સ્કૂલમાં મોકલતા ડરે છે, સરકારી સ્કૂલમાં મોકલતા ડરે છે, આવું ગુજરાત કોણે બનાવ્યું ? ભાજપે ગુજરાતને જંગલ રાજ બનાવી દીધું છે. તેમણે કહ્યું કે જો રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાયદો-વ્યવસ્થા સંભાળી શકતા ન હોય તો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *