આખરે કાંકરિયા કાર્નિવલના વીમા વિવાદનો અંત આવ્યો, કંપનીએ શરત સુધારી

કાંકરિયા કાર્નિવલ આવતીકાલ એટલે કે 25 ડિસેમ્બરથી શરૂ થશે. આ તરફ હવે મેટ્રો સિટી અમદાવાદમાં દર વર્ષે યોજાતા આ કાંકરિયા કાર્નિવલને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ કાંકરિયા કાર્નિવલમાં શહેરભરમાંથી જ નહીં પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ કાર્નિવલની મજા માણવા આવે છે. મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો વીમો લેવાયો છે, પરંતુ વીમા કંપનીની એક શરતને લઈને વિવાદ ઊભો થયો છે.
વિગતો મુજબ કાંકરિયા કાર્નિવલ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો મુલાકાતીઓને સુરક્ષા મળે તે માટે અંદાજે 5 હજાર કરોડ રૂપિયાનો વીમો લેવાયો છે. આ નિર્ણયનો હેતુ મુલાકાતીઓમાં સલામતીની લાગણી ઉભી કરવાનો અને કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં યોગ્ય વળતર મળી રહે તેવો છે. જોકે, વીમા કંપની દ્વારા મૂકવામાં આવેલી એક ખાસ શરતને કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ તરફ વીમા કંપનીની શરત અનુસાર જો કોઈ દુર્ઘટના થાય તો ફક્ત તે જ મુલાકાતીઓને વીમાનો લાભ મળશે જેમણે ટિકિટ લીધી હશે. આ શરત સામે વિવાદ એટલા માટે થયો છે કે, કાંકરિયા કાર્નિવલ દરમિયાન સામાન્ય રીતે કાંકરિયા તળાવમાં પ્રવેશ માટે કોઈ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી. એટલે કે મોટા ભાગના મુલાકાતીઓ પાસે કોઈ ટિકિટ હોતી જ નથી.
આ સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો એન્ટ્રી ફી જ નથી અને ટિકિટ જ નથી તો વીમાનો લાભ કોને મળશે? લોકોનું કહેવું છે કે, કાર્નિવલ જાહેર સ્થળે યોજાય છે અને ત્યાં આવનારા દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. ફક્ત ટિકિટધારકોને જ વીમાનો લાભ આપવાની શરત ન્યાયસંગત નથી તેવી લાગણી લોકોમાં દેખાઈ રહી છે.