ડેન્ગ્યુના ડરનો આવશે અંત, ભારતમાં ડેન્ગ્યુની પહેલી રસી લાવવા થયો મહત્વપૂર્ણ કરાર

 દર વર્ષે ચોમાસામાં અનેક લોકો માટે જીવલેણ સાબિત થતા ડેન્ગ્યુ માટેની રસી હવે ટૂંક સમયમાં ભારતને મળી શકે છે. ડેન્ગ્યુથી બચાવ કરતી રસીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડેન્ગ્યુની રસી માટે જાપાનની દવા નિર્માતા કંપની ટાકેડા ફાર્માસ્યુટિકલ સાથે ભારતની ડોક્ટર રેડીસ લેબોરેટરી દ્વારા કરાર કરવામાં આવ્યો છે. એટલે કે ભારતમાં ડેન્ગ્યુની રસી ક્યુડેંગા નું વિતરણ અને આપૂર્તી માટેનો રસ્તો ખુલી ગયો છે. ભારતની દવા નિયામક સંસ્થાએ પહેલાથી જ ડેન્ગ્યુની રસી ક્યુડેંગાને મંજૂરી આપી દીધી છે. હવે ડોક્ટર રેડીઝ લેબોરેટરી દ્વારા કરેલા કરાર પછી વિતરણ અને બજાર સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ થશે. ત્યાર પછી શક્યતા છે કે વર્ષ 2027 ની શરૂઆતમાં સામાન્ય લોકો માટે રસી અવેલેબલ હશે. 

જાપાની ટાકેડા ફાર્માસ્યુટિકલ્સ અનુસાર ડેન્ગ્યુ માટેની રસી ક્યુડેંગા ડેન્ગ્યુ વાયરસથી બચાવ કરવા માટે સક્ષમ છે. આ રસી 4 વર્ષના બાળકથી લઈને 60 વર્ષ સુધીના વયસ્ક લગાવી શકે છે. રસી પર કરેલા ક્લિનિકલ ટ્રાયલ અનુસાર રસીનો બીજો ડોઝ લીધા પછી આ રસી ડેન્ગ્યુ વિરુદ્ધ  80 ટકાથી વધારે અસરદાર છે. રસી પર થયેલા ટ્રાયલમાં 18 મહિનાની અંદર ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યામાં 90% સુધીનો ઘટાડો નોંધાયો હતો.

ડેન્ગ્યુની રસીના ડોઝ 

ડેન્ગ્યુની રસી ક્યુડેંગા 0.5 ml ના ડોઝમાં દેવામાં આવશે. આ રસીના 2 ડોઝ લેવાના રહે છે. ક્યુડેંગા રસીના ડોઝ 2 મહિનાના અંતરાલમાં આપવામાં આવશે. આ રસીની ખાસ વાત એ છે કે રસી લેતા પહેલા ડેન્ગ્યુની તપાસ કરવાની પણ જરૂર નથી. ડેન્ગ્યુ થયો હોય તેવા લોકો અને ડેન્ગ્યુ ન થયો તેવા લોકો પણ આ રસી લઈ શકે છે. 

ભારત માટે ડેન્ગ્યુની રસીનું મહત્વ 

ભારત માટે ડેન્ગ્યુની રસીનું મહત્વ એટલા માટે છે કે ભારતમાં દર વર્ષે લાખો લોકો ડેન્ગ્યુની ચપેટમાં આવે છે જેમાંથી અનેક લોકોના મોત થાય છે. છેલ્લા બે દાયકામાં ભારતમાં ડેન્ગ્યુના કેસમાં 11 ગણો વધારો નોંધાયો છે. ચોમાસા દરમિયાન ડેન્ગ્યુનો પ્રકોપ વધી જતો હોય છે. આવી સ્થિતિમાં ભારતમાં ડેન્ગ્યુની રસી ઉપલબ્ધ હશે તો તેનાથી લોકોનો જીવ બચશે અને સાથે જ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *