ભીડથી બચવા રેલવે પ્રશાસનનો મોટો નિર્ણય, પ્લેટફોર્મ પર જતા પહેલા જાણી લેજો, નહીંતર…!

રેલ્વે સ્ટેશનો પર ભીડ અને નાસભાગ અટકાવવા માટે, રેલ્વેએ કેટલાક કડક નિયમો બનાવ્યા છે. મહાકુંભ દરમિયાન, દેશભરના 60 મુખ્ય સ્ટેશનો પર તાત્કાલિક ધોરણે બનાવવામાં આવેલા વેઇટિંગ રૂમ વિસ્તારોને કાયમી બનાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં, રેલ્વે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી અને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા. દેશના 60 મુખ્ય સ્ટેશનોના તમામ અનધિકૃત પ્રવેશ પોઈન્ટ્સ સીલ કરવામાં આવશે. ફક્ત કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ પ્લેટફોર્મ પર જવાની મંજૂરી આપવામાં આવશે.
પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, નવી દિલ્હી, આનંદ વિહાર, સુરત, વારાણસી, અયોધ્યા અને પટના સ્ટેશનો પર આ સિસ્ટમ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી રહી છે. ટ્રેનોની ક્ષમતા અનુસાર ટિકિટ વેચવામાં આવશે. સ્ટેશનો પર રેલ્વે સ્ટાફ માટે ડ્રેસ કોડ પણ લાગુ કરવામાં આવ્યો છે. મહાકુંભ દરમિયાન દિલ્હી સ્ટેશન પર થયેલી ભાગદોડમાંથી સીખ લઈને રેલવે દ્વારા આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેથી તહેવારો દરમિયાન મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.મહાકુંભ દરમિયાન 60 સ્ટેશનોની બહાર વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યા હતા, જેનાથી સુરત, પટના અને નવી દિલ્હીમાં ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળી. ટ્રેન આવે ત્યારે જ મુસાફરોને પ્લેટફોર્મ પર જવાની મંજૂરી આપવામાં આવતી હતી. હવે તેને કાયમી બનાવીને, પ્લેટફોર્મ પર અચાનક થતી ભીડને વેઇટિંગ રૂમમાં રોકી શકાશે.ટિકિટ વગરના મુસાફરો અથવા વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરોને વેઇટિંગ એરિયામાં જ રોકી દેવામાં આવશે. એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સ્ટેશનો પર પહોળા ફૂટઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે. તેની લંબાઈ 12 મીટર અને પહોળાઈ છ મીટર હશે. પ્રમાણભૂત પુલની બે નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
બધા સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં દેખરેખ માટે મોટી સંખ્યામાં કેમેરા લગાવવામાં આવશે. મોટા સ્ટેશનો પર વોર રૂમ બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. ભીડ હોય તો, વોર રૂમમાં કામ કરી શકાય છે. વોકી-ટોકી વગેરે જેવા આધુનિક ડિઝાઇન કરેલા ડિજિટલ કોમ્યુનિકેશન ડિવાઈસ લગાવવામાં આવશે.
કર્મચારીઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો
રેલ્વે મંત્રાલયે સ્ટેશનો પર કામ કરતા રેલ્વે સ્ટાફ અને સેવા કર્મચારીઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી કરી દીધો છે. તેમને નવા ડિઝાઇન કરેલા ઓળખ કાર્ડ અને યુનિફોર્મ આપવામાં આવશે જેથી ફક્ત અધિકૃત વ્યક્તિઓ જ પ્લેટફોર્મ પર પ્રવેશ કરી શકે. કટોકટીની સ્થિતિમાં, યુનિફોર્મ દ્વારા રેલવે સ્ટાફને ઓળખવાનું સરળ બનશે. સ્ટેશનો પર સિસ્ટમને નિયંત્રિત કરવા માટે, એક વરિષ્ઠ અધિકારીને સ્ટેશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે, જેમને અન્ય તમામ વિભાગોના વડાઓ રિપોર્ટ કરશે.
આ પણ વાંચો, http://યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: ‘મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો….’