
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાને પોતાના એરફોર્સને એલર્ટ મોડ પર મુકી દીધી છે. સાથે જ ભારત-પાકિસ્તાન સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. સૂત્રો અનુસાર, લાહોર, કરાચી, પેશાવર, રાવલપિંડી અને ઇસ્લામાબાદ જેવા મુખ્ય શહેરોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાક અધિકૃત કાશ્મીર (PoK)માં પણ સુરક્ષા એજન્સીઓને સાવચેત રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં આ ડર છે કે ભારત સર્જિકલ સ્ટ્રાઇક અથવા એરસ્ટ્રાઇક જેવા મોટા પગલા ભરી શકે છે. જેમ કે ઉરી અને પુલવામા હુમલા બાદ કરવામાં આવ્યો હતો. ભારત તરફથી આ હુમલાને લઇને પહેલા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કહ્યું છે કે આ હુમલાના ગુનેગારોને છોડવામાં નહીં આવે.
આ વચ્ચે ભારતીય સેના અને વાયુસેનાએ પહેલા જ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને LoC પર ડ્રોન અને હવાઇ નીરિક્ષણ શરૂ કર્યું છે. તમામ યૂનિટ્સને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના મુખ્ય પ્રવાસન સ્થળ પહેલગામમાં હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા છે જ્યારે કેટલાક ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં બે વિદેશી નાગરિકના પણ મોત થયા છે જેમાં એક યુએઇ અને એક નેપાળના હતા.
