ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે ભયંકર ભૂસ્ખલન, બદ્રીનાથ-કેદારનાથ હાઇવે બ્લોક, શ્રદ્ધાળુ ફસાયા

ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન ખરાબ થયું છે. ગઈકાલ રાતથી પહાડી વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને કેદારનાથ હાઇવે પરનો રસ્તો બ્લોક થઇ ગયો છે. જેના કારણે ચારધામ યાત્રા સંપૂર્ણપણે સ્થગિત થઈ ગઈ છે. હજારો યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે, અને વહીવટીતંત્ર રાહત કાર્યમાં વ્યસ્ત છે.

કેદારનાથ ધામને જોડતો સોનપ્રયાગ-ગૌરીકુંડ હાઇવે પર કાટમાળ અને પથ્થરો પડવાના કારણે ઘણા રસ્તા જગ્યાએ બંધ થઇ ગયા છે. મુનકટિયા નજીક સતત ભૂસ્ખલનને કારણે આ માર્ગ સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે આજે કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ શકી નથી. પોલીસ અને SDRFએ મુસાફરોને સલામત સ્થળોએ રોકી દીધા છે અને વૈકલ્પિક માર્ગો દ્વારા તેમની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

સિરોબગઢમાં મોડી રાતથી ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. ભારે વરસાદને કારણે, ટેકરી પરથી કાટમાળ અને પથ્થરો રસ્તા પર પડ્યા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ચમોલી પોલીસના જણાવ્યા અનુસાર, સિરોબગઢ, ભાનેરપાણી અને પીપલકોટી નજીક હાઇવે બંધ છે, અને રસ્તો ખોલવાનું કામ ચાલી રહ્યું છે. જોશીમઠ, ગોવિંદઘાટ અને પાંડુકેશ્વરમાં હજારો મુસાફરો ફસાયેલા છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *