‘બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર, અતિક્રમણ નહીં ચાલે’, મેગા ડિમોલિશન પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

દ્વારકામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યુ છે. દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઇ છે. મેગા ડિમોલિશન પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ટ્વીટ કરી તેમણે કહ્યુ,’બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર, અતિક્રમણ નહીં ચાલે’.
દેવભૂમિ દ્વારકામાં આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જિલ્લાના ઓખા મંડળ બેટ વિસ્તારમાં 400 જેટલા ધાર્મિક રહેણાંક અને કોમર્શિયલ દબાણો હટાવવા સરકારી તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.તાજેતરમાં દ્વારકાને બેટ દ્વારકાના જુદા-જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 300 જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવાયું હતું. અંતે દબાણ હટાવવાની ઝુંબેશ આજથી શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હતો. આજે સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે 300 જેટલા આસામીઓને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 1000 જેટલા સુરક્ષા કર્મીઓને ડિમોલિશનના સ્થળે તૈનાત કરવામાં આવી દીધા હતા.
ડિમોલીશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને અહીં ચકલું પણ ન ફરકે તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્ર સાથે રેવન્યુ તંત્ર, પી.જી.વી.સી.એલ. તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો છે.