હનુમાન જયંતિ પર કેમ્પ હનુમાન મંદિરમાં ભવ્ય ધાર્મિક ઉજવણી

251 કિલો માવાની કેક કાપી, સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા; 1 લાખ લોકો દર્શન કરે તેવી શક્યતા.
આજે હનુમાન જયંતિના અવસરે શહેરના તમામ હનુમાન મંદિરોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી. ખાસ કરીને શાહીબાગ વિસ્તારમાં આવેલ કેમ્પ હનુમાન મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તોએ આવીને હનુમાનજીના દર્શન કર્યા અને પ્રસાદ લીધો.
મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ નિમિત્તે અહીં 251 કિલોની માવાની કેક કાપીને ઉજવણી કરવામાં આવી. ભક્તોની ભારે ઉપસ્થિતિને કારણે આખું મંદિર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું.
ટ્રસ્ટી મંડળના સભ્ય સરિતભાઈ ચોક્સીએ જણાવ્યું કે, ગયા વર્ષોના અનુભવના આધારે આ વર્ષે અંદાજે 70 હજારથી 1 લાખ જેટલા ભક્તો દર્શનનો લાભ લેશે. મંદિર સવારે 6 વાગ્યાથી ખુલ્લું રાખવામાં આવ્યું છે અને રાત્રે 12 થી 12:15 સુધી દર્શન માટે ખાસ આર્મીની પરવાનગી લેવામાં આવી છે.
આ દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7થી 9 વાગ્યા સુધી સુંદરકાંડ પાઠ થયો, 10 વાગ્યે હનુમાન જન્મોત્સવ ઉજવાયો અને 11 વાગ્યે ધજા ચડાવવામાં આવી. સવારે 10:30 વાગ્યે શરૂ થયેલો મારુતિ યજ્ઞ સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે.
સાંજે 6:30 વાગ્યે સંધ્યા આરતી થશે. લગભગ 15 હજાર લોકો માટે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 251 કિલોની માવાની કેક અને 251 કિલો બુંદીનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવશે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: નકલી પનીરનું વેચાણ રોકવા આરોગ્ય વિભાગનો નવો આદેશ છુટ્યો, નહિ તો હોટલ-રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ થશે