Gandhinagar: વિધાનસભા ખાતે ચાર દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શુભારંભ કરાવ્યો

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પ-2025નો આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો અને જનકલ્યાણકારી કામો વચ્ચે પોતાના આરોગ્યની કાળજી કેટલાક સંજોગોમાં રાખી શકતા નથી તેવુ ઘણી વાર જોવા મળે છે. તેમજ પત્રકારો પણ પ્રજા સુધી વિધાનસભાની કામગીરી તેમજ અન્ય માહિતી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે. તે પણ પોતાના આરોગ્યની કાળજી રાખી શકતા નથી. તેમના માટે આ હેલ્થ ચેકઅપ કેમ્પ અસરકારક સાબિત થશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, બિમાર થયા પછી નહીં પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે ખૂબ જરૂરી છે જે માટે ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા આ કૅમ્પમાં તપાસ કરવામાં આવશે. આયુર્વેદિક પદ્ધતિને ધ્યાને રાખીને પ્રકૃતિ પરીક્ષણનો પણ આ કૅમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે આ પહેલ સરાહનીય છે. નાગરિકોને પોતાની પ્રકૃતિ ખ્યાલ આવે તો તેને આનુષંગિક ખોરાક તેઓ લઇ શકે તે માટે આ પરિક્ષણ જરુરી છે.
વિધાનસભા ખાતે તા.18 માર્ચ થી તા.21 માર્ચ સુધી યોજાયેલ ચાર દિવસીય મેડિકલ ચેકઅપમાં બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ઇસીજી જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. તેમજ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉકટરો દ્વારા રિપોર્ટ કરાશે. જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાશે તો તે માટે GMERS મેડિકલ કૉલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે. તદ્ઉપરાંત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટમાંથી હ્રદયરોગના નિષ્ણાંત, ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માંથી કેન્સરરોગના નિષ્ણાંત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ અને રિસર્ચ સેન્ટરમાંથી કીડની રોગના નિષ્ણાંત જરૂરી સાધનસામગ્રી અને સ્ટાફ સાથે હાજર રહેશે.

આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધનસામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ ઉપર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેડિકલ ચેકઅપમાં તા.18 માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યો માટે અને તા.19 માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, સંસદ સભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે તા.20 માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યો માટે અને તા.21 માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે.
આ પણ વાંચો, http://અમદાવાદ પછી સુરતમાં અસામાજિક તત્ત્વોના ઘર પર ફર્યુ ‘દાદાનું બુલડોઝર’:3 મકાન તોડી પડાયાં