Gandinagar: TAT-1 પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસે ટીંગાટોળી કરી ડિટેઈન કર્યાં

ગુજરાત રાજયની શાળાઓમાં ધોરણ 1થી 5 માં ટેટ-1 પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માગ સાથે વધુ એક વખત આજે ગાંધીનગર જીવરાજ મહેતા ભવન ખાતે ઉમેદવારોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા વખતથી ઉમેદવારો જગ્યા વધારાની માગ સાથે સરકારમાં રજૂઆત કરતા આવ્યાં છે. જો કે, આજદિન સુધી માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતાં ઉમેદવારો વિરોધ કરવા ઉમટ્યાં હતા. આ દરમિયાન પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોને ડીટેઇન કરી લીધા હતા. આ વચ્ચે એક ઉમેદવારની તબિયત લથડી જતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો.

ઉમેદવારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, લાયક ઉમેદવારો નોકરી માટે વર્ષો સુધી રાહ જુએ છે. આ શું ખરેખર ન્યાયસંગત છે? દેશમાં શિક્ષણની ગુણવત્તા વધે માટે ધોરણ 1 થી 5 માં ભરતી માટે વધુ જગ્યાઓ વધારો કરવામાં આવે. હાલની ભરતી પ્રક્રિયામાં ધોરણ 1 થી 5 માટે માત્ર 5000 જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે.
ઉમેદવારોની મુખ્ય માંગણીઓ
- RTI દ્વારા ખુલાસો થયેલી ખાલી જગ્યાઓને ધ્યાને લઈ, ધોરણ 1 થી 5 માટે પુરતી સંખ્યામાં ભરતી કરવામાં આવે
- RTIના આંકડાઓના આધારે ભરતીની સંખ્યા ફરીથી નક્કી કરવામાં આવે.
- પ્રોવિઝનલ મેરીટ અને જગ્યા વધારાને કોઈ સબંધ નથી, એટલે જગ્યા ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે.
- જગ્યા વધારો કરી તબક્કાવાર ક્રમિક ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે.
- શિક્ષક-વિદ્યાર્થી ગાળાની (Ratio) જાળવણી: નવી નીતિ મુજબ, શિક્ષક-વિદ્યાર્થી ગાળો 1:40 હોવું જોઈએ, જ્યારે પછાત વિસ્તારોમાં તે 1:29 છે. ગુણવત્તાસભર શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે, આ બાબતને ધ્યાનમાં રાખી જગ્યા વધારો અનિવાર્ય છે.
આ પણ વાંચો, Botad: સાળંગપુર હનુમાનજી મંદિરમાં રંગોત્સવની તૈયારી, દાદાને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો