Botad: સાળંગપુર હનુમાનજી મંદિરમાં રંગોત્સવની તૈયારી, દાદાને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો

સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજ રોજ દાદાને કલરફૂલ વાઘા અને સેવંતીના મિશ્રિત ફૂલોથી સજાવવામાં આવ્યા હતા. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી. ત્યારબાદ સવારે 7:00 વાગ્યે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ શણગાર આરતી ઉતારી હતી.

પૂજારી સ્વામીના જણાવ્યા અનુસાર, દાદાના સિંહાસનને કાપડ અને સેવંતીના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. દાદાને પહેરાવવામાં આવેલા પંચરંગી વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતથી તૈયાર કરવામાં આવ્યા છે. આ વિશેષ શણગારમાં 11થી વધુ ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક હરિભક્તોએ આ દિવ્ય શણગારના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.