સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની BCCIમાં એન્ટ્રી, અરુણ મિશ્રા બન્યા નવા લોકપાલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ગયા ગુરુવારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અરુણ મિશ્રાને લોકપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. ઉપરાંત તેઓ એક નૈતિક અધિકારી તરીકે પણ કામ કરતા જોવા મળશે. અરુણ મિશ્રા 1989 અને 1995માં રેકોર્ડ મતો સાથે મધ્યપ્રદેશ બાર કાઉન્સિલમાં ચૂંટાયા હતા. 1998માં તેઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના અધ્યક્ષ બન્યા. તેઓ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જજ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2010માં તેઓ રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને કલકત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચૂક્યા છે.

તાજેતરમાં BCCIમાં કેટલાક અન્ય પદો પર પણ નવી નિમણૂકો કરવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ICC ચેરમેન બન્યા બાદ જય શાહે BCCI સેક્રેટરી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આવી સ્થિતિમાં બોર્ડે ગયા રવિવારે ખાસ સામાન્ય સભા બોલાવી હતી. આ જ બેઠકમાં દેવજીત સૈકિયાને નવા સેક્રેટરી અને પ્રભતેજ સિંહ ભાટિયાને નવા ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જસ્ટિસ અરુણ મિશ્રાની વાત કરીએ તો તેમનો જન્મ 3 સપ્ટેમ્બર 1955ના રોજ ગ્વાલિયરના એક વકીલ પરિવારમાં થયો હતો. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કલકત્તા હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે તેમણે લગભગ 97,000 કેસોમાં ચુકાદા આપ્યા હતા.

બીસીસીઆઈમાં નવી નિમણૂકો કરવામાં આવી છે. નવા સેક્રેટરી દેવજીત સૈકિયા, ખજાનચી પ્રભતેજ સિંહ અને હવે લોકપાલ જસ્ટિસ અરુણ મિશ્રા ઉપરાંત, ભારતીય ક્રિકેટ ટીમને એક નવા બેટિંગ કોચ પણ મળ્યા છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ BCCI એ એક સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં કેટલાક અહેવાલો અનુસાર, ગૌતમ ગંભીરે બેટિંગ કોચની માંગણી કરી હતી. બોર્ડે આ માંગણી સ્વીકારી લીધી છે અને સીતાશુ કોટકને ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.                                

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *