Eta-Aquarids meteorshower: દુનિયાભરમાં બે દિવસ ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે, વહેલી પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમય

દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ, એપ્રિલમાં લાયરીડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. વિશ્વમાં રવિવાર મધ્યરાત્રિ બાદ બે દિવસ સુધી ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. તા. ૫ અને ૬ મી મે ના રોજ મહત્તમ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે રવિવારે મધ્યરાત્રિ બાદ મંગળવાર પરોઢ સુધી આકાશમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. ૫ અને ૬ મે ના રોજ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧૫ થી ૫૦ અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. કુદરતી નજારો હોય દિશા–સમયમાં થોડા ફેરફારની પુરતી શકયતા છે.

વધુમાં પંડયા જણાવે છે કે ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા મહત્તમ બે દિવસ રવિવાર થી મંગળવાર સવાર સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.

ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી બે-ત્રણ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દુરબીનની વ્યવસ્થા કરી નજારો જોવે છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા ૧૦×૫૦ નું મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે.

જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે. ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. જાથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકશે.

જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં જાગૃતોએ આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, મોરબી, પાવગઢ, ગોધરા, વિગેરે નાના-મોટા નગરોમાં જાથાના સદસ્યો માટે એક દિવસીય મધ્યરાત્રિ-પરોઢે વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો, India has put up jammers on the border: ભારતની સૌથી મોટી કાર્યવાહી, સરહદ પર જામર લગાવી પાકિસ્તાની ફાઈટર જેટ્સને મળતા સેટેલાઈટ સિગ્નલ અટકાવ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *