કેન્દ્રિય ‌શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી મોદી સરકાર

Dharmendra Pradhan resigns: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે. NEET-UG પરીક્ષામાં થયેલી ગરબડને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે તેમણે આ નિર્ણય લીધો છે. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી અને રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે.

પોતાના પત્રમાં તેમણે લખ્યું કે છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારા માટે સમર્પિત રહ્યા છે. તેમનું હંમેશાંથી માનવું રહ્યું છે કે મજબૂત, સમાવેશી અને દૂરદર્શી શિક્ષણ વ્યવસ્થા જ કોઈપણ રાષ્ટ્રના વિકાસની આધારશિલા હોય છે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું, “3 મે 2026ના રોજ આયોજિત NEET-UG પરીક્ષામાં ગડબડની ફરિયાદો સામે આવતા જ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મામલાની તપાસ CBIને સોંપવામાં આવી, પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો અને આવતા વર્ષથી NEETને પૂરેપૂરી કમ્પ્યુટર આધારિત (CBT) મોડમાં આયોજિત કરવાની જાહેરાત કરવામાં આવી.”

ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું કે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા નિષ્પક્ષ અને સુચારુ રીતે કરાવવી એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. આ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, જિલ્લા વહીવટી તંત્ર, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગથી 21 જૂન 2026ના રોજ ફરીથી પરીક્ષા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી. 16 જુલાઈના રોજ જાહેર થયેલા પરિણામોમાં ગરીબ અને વંચિત પરિવારોના ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સફળતા મળી, પરંતુ કેટલાક જવાબદાર પદો પર બેઠેલા લોકોએ વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી તેમને ઊંડું દુઃખ પહોંચ્યું છે.

પોતાના રાજીનામા અંગે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા 10 દિવસની ઘટનાઓએ તેમને ખૂબ જ વ્યથિત કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ તેમના વ્યક્તિગત સન્માનનો વિષય નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્યનો સવાલ છે. તેમણે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાનૂની વિવાદો અને રાજકીય ટકરાવમાં અટવાય કે તેમનું ધ્યાન અભ્યાસમાંથી ભટકે. આ જ ભાવના સાથે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે.

પત્રના અંતમાં ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન, મંત્રીપરિષદના સાથીઓ, શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે જાહેર જીવનમાં આગળ પણ તેઓ ભારત માતા, ઓડિશાની જનતા અને દેશના યુવાનોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે પૂર્ણ નિષ્ઠા સાથે કામ કરતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *