વિપક્ષને ડરાવવા ઈડીનો ઉપયોગ થાય છે, ભાજપમાં જોડાય તો વોશિંગ મશીનની જેમ કેસો ધોવાઈ જાય છે : Chaitar Vasava

આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી વિપક્ષના ધારાસભ્યો, સાંસદો અને નેતાઓને ડરાવવા, દબાવવા અને તોડવા માટે ઈડી જેવી તપાસ એજન્સીઓનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈડી માત્ર વિપક્ષના નેતાઓના ઘરો પર જ રેડ પાડે છે અને જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાં ત્યાં ઈડીની હાજરી જોવા મળે છે. બીજી તરફ, જે નેતાઓ ભાજપમાં જોડાઈ જાય છે તેમના પર લાગેલા હજારો કરોડોના ભ્રષ્ટાચારના કેસો જાણે કે વોશિંગ મશીનમાં ધોવાઈને સાફ થઈ જાય છે. આજ સુધી એકપણ મોટા ભાજપના નેતાના ઘરે ઈડીની રેડ પડી નથી. AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે થોડા સમય પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ઈડી દ્વારા રેડ પાડવામાં આવી, તેમની ધરપકડ કરવામાં આવી અને લગભગ છ મહિના સુધી જેલવાસ ભોગવવો પડ્યો. મુખ્યમંત્રી હોવા છતાં તેમને અને તેમના મંત્રીઓને જેલમાં રાખવામાં આવ્યા. પરંતુ ગત રોજ દિલ્હીની અદાલતે અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કર્યા છે, કારણ કે ઈડી કોઈપણ પ્રકારની રકમની વસૂલી કે પુરાવા રજૂ કરી શકી નથી. આ ચુકાદો એ સ્પષ્ટ કરે છે કે સમગ્ર કાર્યવાહી રાજકીય બદલાથી કરવામાં આવી હતી. આ ચુકાદા બાદ ભાજપ અને તેની સરકારોને સ્પષ્ટ સંદેશો મળે છે કે દેશની લોકશાહી અને સંવિધાન કોઈ રાજકીય પક્ષના બાપની મિલ્કત નથી. ન્યાય પ્રણાલી આજે પણ સ્વતંત્ર છે અને સત્યની જીત થાય છે.
આમ આદમી પાર્ટી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં. આજે ફરી સાબિત થયું કે લોકશાહીમાં ન્યાય તંત્ર હજુ જીવંત છે. દિલ્હી નામદાર હાઈકોર્ટનો દિલથી આભાર કે જેણે ભારતીય જનતા પાર્ટી અને ઈડી દ્વારા અરવિંદજી ઉપર કરવામાં આવેલાં ખોટા કેસો આજે રદબાતલ કર્યા છે. આ તકે ભાજપ અને ઇડીના મિત્રોને પણ કહેવાનું કે યાદ રાખજો, અરવિંદજી એક વિચાર છે અને વિચારને ક્યારેય જેલમાં પૂરી શકાતો નથી.