ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો,55 ટકાથી વધીને 58 ટકા થયું, એરિયર્સ પણ ચુકવાશે

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના હજારો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અગાઉ 55 ટકા મુજબ મળતું DA હવે વધારીને 58 ટકા કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયનો લાભ એસટી નિગમના તમામ પાત્ર કર્મચારીઓને મળશે. માત્ર વધારેલા મોંઘવારી ભથ્થાનો જ લાભ નહીં, પરંતુ વધારાની રકમના બાકી રહેલા એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસટી નિગમ પર અંદાજે રૂ. 24 કરોડથી વધુનો વધારાનો આર્થિક બોજ પડશે, પરંતુ તેનાથી કર્મચારીઓને સીધો આર્થિક લાભ મળશે.

સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયના અમલીકરણ માટેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયને એસટી કર્મચારીઓ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

મોંઘવારી ભથ્થું એટલે કર્મચારીઓને વધતી મોંઘવારીની અસર સામે આર્થિક સુરક્ષા આપવા માટે આપવામાં આવતું વધારાનું ભથ્થું. સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ તેમજ પેન્શનધારકોને આ લાભ આપવામાં આવે છે. સામાન્ય રીતે દર છ મહિનાએ મોંઘવારીના દરને આધારે DAમાં ફેરફાર કરવામાં આવે છે. કર્મચારીના મૂળ પગારના આધારે તેની ગણતરી થાય છે અને વિવિધ વિસ્તારોના આધારે તેમાં તફાવત પણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *